રાજસ્થાનના રણમાં સચિન પાયલટની ઘરવાપસી છતાં હજુ રાજકારણ ગરમાયું છે. છેલ્લી ઘડીએ ભાજપે એવી સોગઠી મારી કે આજે ફરીથી કોંગ્રેસ નેતાઓ અને અશોક ગેહલોતના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. આજે રાજસ્થાન વિધાનસભામાં સીએમ અશોક ગેહલોતને અગ્નિપરીક્ષા થશે અને ફ્લોર ટેસ્ટ પણ થઇ શકે છે. એવામાં બસપાનાં એક સાંસદના નિવેદનથી ફરીવાર ખળભળાટ મચી ગયો છે.
સચિન પાયલટ તકની રાહમાં છે : બસપા સાંસદ
આજે રાજસ્થાનમાં સત્ર તોફાની બને તેવી શક્યતા
વિધાનસભામાં પાછળની હરોળમાં બેસશે સચિન પાયલટ
બીએસપીનાં સાંસદ મલૂક નાગરે સચિન પાયલટને સિંહ ગણાવ્યા. તેમણે કહ્યું કે પાયલટ આગામી સમયમાં ફરીથી હુમલો કરશે અને સીએમ બનશે. બિજનૌરનાં સાંસદે કોંગ્રેસ પર દગો આપવાનો આરોપ લગાવતા કહ્યું કે અશોક ગેહલોતને કાર્યકાળ પૂરો નહીં કરવા દે. તેમને હટવું જ પડશે. માલૂમ નાગરે આગળ જણાવ્યું કે બસપા સત્તારૂઢ કોંગ્રેસના વિરુદ્ધ અને સચિન પાયલટની સાથે હતી. પણ હવે પાયલટ જ પાછા જતા રહ્યા છે એટલે આગળ જોવું પડશે કે શું થાય છે. તેમણે કહ્યું કે સિંહ તકની રાહમાં જ રહે છે.
રાજસ્થાનમાં આજે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. ગેહલોત સરકાર સામે વિધાનસભામાં ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે જેના કારણે અશોક ગેહલોત સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.જો કે હાલ સંખ્યાબળની દ્રષ્ટીએ જોઈએ તો ગેહલોત પાસે પુરતી સંખ્યા છે. ભાજપના આ પ્રસ્તાવના કારણે અશોક ગેહલોતે બહુમત સાબિત કરવું પડશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર પોતાના આંતરિક ડખાના કારણે પડી જશે. છેલ્લા એક મહિનાથી અશોક ગેહલોત ભાજપ પર ખોટો આરોપ લગાવી રહ્યા છે પરંતુ કોંગ્રેસમાં બે ભાગ થઇ ગયા છે તે આંતરિક વિખવાદના કારણે સરકાર પડશે.
ભાજપની પાર્ટી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ખૂબ જલ્દી આ સરકાર જતી રહેવાની છે કારણ કે કોંગ્રેસ પોતાના ઘરમાં થીગડાં મારીને કપડા જોડવા માંગે છે પરંતુ કાપડ ફાટી જ ગયું છે. નોંધનીય છે કે ભાજપમાં પણ આંતરિક વિખવાદ છે તેવી ચર્ચા વચ્ચે વસુંધરા રાજે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
પાયલટ જૂથની નારાજગી અને પાયલટની ઘરવાપસી પછી કોંગ્રેસમાં અંદરો અંદરના ડખાનો લાભ ભાજપ લઈ શકે છે અને અંદરો-અંદરની નારાજગીની ગંધ ભાજપ આવી ગઈ છે કદાચ તેથી જ આ પ્રસ્તાવ લાવવા જઈ રહ્યું છે.