રાજસ્થાનમાં રાજકીય ગરમાવો ચાલુ છે. આ દરમિયાન, હાઈકોર્ટમાં કોંગ્રેસના બળવાખોર સચિન પાયલોટની અરજીની સુનાવણી કરતી વખતે ચારે બાજુ ચર્ચા જામી છે. આ પછી, આખરે રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલોટની અરજી સ્વીકારી અને બેંચને રિફર કરી હતી.
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ
રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલોટની અરજી સ્વીકારી
વિધાનસભા અધ્યક્ષ ગૃહની બહાર કાર્યવાહી માટે નોટિસ આપી શકતા નથીઃ સાલ્વે
અરજી પર સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ સચિન પાયલોટ વતી દલીલ કરતાં કહ્યું કે અરજીમાં સુધારો સ્વીકારી શકાય છે. જોકે અભિષેક મનુ સિંઘવીએ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ આધાર વિના અરજી કેવી રીતે સ્વીકારી શકાય. પરંતુ હવે હાઈકોર્ટે આ અરજી સ્વીકારીને બેંચને મોકલી આપી છે.
આ અગાઉ સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ ગૃહની બહાર કાર્યવાહી માટે નોટિસ આપી શકતા નથી. નોટિસની બંધારણીય માન્યતા નથી. નોટિસને તાત્કાલિક રદ કરી અને ગેરબંધારણીય જાહેર કરવી જોઈએ. બીજી તરફ, કોંગ્રેસે સચિન પાયલોટ અને તેના ટેકેદારો અન્ય 18 ધારાસભ્યો પર એમ કહીને આક્ષેપો કર્યા છે કે, તેઓએ વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે.
અરજીનો વિરોધ
આ કેસમાં કોંગ્રેસ પાર્ટીના ચીફ વ્હિપ મહેશ જોશીના સલાહકાર એન.કે. માલુએ કહ્યું હતું કે અમે તેમની સુધારણા અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેને સ્વીકારીને વિભાગીય બેંચને મોકલી આપ્યો છે. કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી. સુનાવણી ક્યારે થશે તેનો નિર્ણય ચીફ જસ્ટિસ કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલોટ અને તેમને ટેકો આપનારા 18 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકર જોશી દ્વારા અપાયેલી અયોગ્યતા નોટિસ વિરુદ્ધ રાજસ્થાન હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યારે મહેશ જોશીએ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા ખતમ કરવા માટે સ્પીકર સી.પી. જોશી સમક્ષ અરજી કરી હતી.
સચિન પાયલટ અને તેમના સમર્થકોને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષે નોટિસ મોકલી હતી. તેની સામે પાયલટના સમર્થકો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારે સચિન પાયલટ વતી હાઈકોર્ટમાં લડનારા વકીલોએ મોટું નિવેદન આપ્યું હતું. પાયલટના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સચિન પાયલટ ભાજપના જોડાવાના નથી. મુકુલ રોહતગી અને હરિશ સાલ્વે પાયલટ અને તેમના 18 સાથી ધારાસભ્યો વતી કેસ લડી રહ્યા છે.