રાજસ્થાનના રણમાં ચાલી રહેલા રાજકીય તોફાન વચ્ચે હવે સચિન પાયલટને થોડી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર દ્વારા સચિન સહીતના ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવા ફટકારેલી નોટીસ વિરુદ્ધ સચિન હાઈકોર્ટ પહોંચ્યા અને હવે કોર્ટ તરફથી સચિનને થોડી રાહત મળતી દેખાઈ રહી છે.
રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન આમને સામને
નોટીસને રદ્દ કરવાની માગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા સચિન
પાર્ટીની અંદર અવાજ ઉઠાવવોએ બગાવત નથી : સચિન
રાજસ્થાનમાં રાજનીતિક સંગ્રામ ચાલી રહ્યું છે જેમાં હવે સચિન પાયલટને થોડી રાહત મળી છે. સચિન પાયલટ તરફથી કરવામાં આવેલ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે સચિનને મળેલી નોટીસ પર 21 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે અને સોમવારે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
હવે રાજસ્થાન હાઈકોર્ટમાં આ મામલે સોમવારે સવારે 10 વાગ્યે ફરીથી સુનાવણી કરવામાં આવશે. હાઈકોર્ટે આપેલ રાહત બાદ હવે સ્પીકર સચિન પાયલટ પર 21 જુલાઈ સુધી કોઈ કાર્યવાહી કરી શક્શે નહીં.
રાજસ્થાન હાઈકોર્ટની રાહત બાદ 21મી જુલાઈ સુધી સચિન પાયલટની સાથેના 18 અન્ય ધારાસભ્યો પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહી.
આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સચિન પાયલટ તરફથી હરીશ સાલ્વેએ કહ્યું કે જો હું સરકાર પાડવા માટે અથવા કોઈ હદ પાર કરીને કોઈ પાપ કરી રહ્યો હોઉં તો સમજ્યા પરંતુ જો હું અવાજ ઉઠાવી રહ્યો છું તો એ ફ્રીડમ ઓફ સ્પીચનો જ એક ભાગ છે.
સાલ્વેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા બંધારણનો જ એક ભાગ છે એટલે આ નોટીસને રદ્દ કરી દેવામાં આવે. હરીશ સાલ્વેએ વધુમાં કહ્યું કે જો કોઈ ધારાસભ્ય પોતાના સીએમના ભ્રષ્ટાચાર અને તાનાશાહી વલણ વિરુદ્ધ બોલે છે અને કેન્દ્રીય લીડરશીપને જગાવે છે તો તે વાણી સ્વતંત્રતાનો જ એક ભાગ છે, આ વિદ્રોહ નથી.