રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરવાની કવાયત તેજ થઇ ગઇ છે. બહુજન સમાજ પાર્ટી (BSP) એ પણ રાજસ્થાન હાઇકોર્ટમાં છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલનીકરણની સામે અરજી દાખલ કરી છે. બસપાના મહાસચિવ સતીશ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ધારાસભ્યોના વિલયને પડકારવામાં આવ્યો છે.
બસપા ધારાસભ્ય લખનસિંહ (કરોલી), રાજેન્દ્ર સિંહ ગુઢા (ઉદયપુરવાટી), દીપચંદ ખેડિયા (કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના (નદબઇ), સંદીપકુમાર (તિજારા) અને વાઝિબ અલી (નગર, ભરતપુર) કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. બીએસપી ધારાસભ્યોનું કોંગ્રેસમાં વિલય થવાનો માયાવતી ઘણીવખત વિરોધ કરી ચૂકી છે.
માયાવતીએ કહ્યું - આ મુદ્દાને જવા નહી દઇએ
બીએસપી અધ્યક્ષ માયાવતીએ ગઇકાલે કહ્યું હતું કે બીએસપી પહેલા પણ કોર્ટ જઇ શકતી હતી, પરંતુ અમે એ સમયની રાહ જોઇ રહ્યાં હતા, જ્યારે અશોક ગેહલોત અને કોંગ્રેસને પાઠ ભણાવી શકીએ. હવે અમે કોર્ટ જવાનો નિર્ણય લીધો છે. અમે આ મુદ્દાને જવા નહીં દઇએ. આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટ સુધી જઇશું.
અશોક ગેહલોત પર નિશાન સાધતા બીએસપી અધ્યક્ષ માયાવતીએ મંગળવારે કહ્યું કે રાજસ્થાન ચૂંટણી પછી કોંગ્રેસને કોઇપણ શરત વગર સમર્થન આપ્યું હતું, પરંતુ દુર્ભાગ્યથી મુખ્યમંત્રી અશોક ગેહલોતે બસપાને નુકસાન પહોંચાડવા માટે અમારા બધા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં વિલય કરી દીધા.