રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારને લઈને સર્જાયેલા સંકટ વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ અથવા ભાજપ એમ કઇ પાર્ટી શાસન કરશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. સચિન પાયલોટના સમર્થકો દાવો કરે છે કે હાલમાં તેમની પાસે 24 ધારાસભ્યો છે, પરંતુ નિષ્ણાતો આ દાવો ખોટો માને છે. આ દાવાની વિરુદ્ધ, સરકારના સમર્થકો માને છે કે પાયલોટ તરફી ધારાસભ્યોની સંખ્યા 15-17 હોઈ શકે છે. ચાલો જાણીએ રાજસ્થાનની સરકાર બનાવવાનું ગણિત શું છે?
તમામ પક્ષોએ પોતપોતાની શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું છે. સચિન પાયલોટ તરફી ધારાસભ્યોના રાજીનામા અથવા ભાજપ સાથે મળીને સરકારની રચના જેવી તમામ બાબતોના મંથનનો તબક્કો શરૂ થયો છે. જો કે, કોંગ્રેસના સમર્થકો દાવો કરે છે કે પાર્ટી પાયલોટ પ્રકરણમાં સમાધાન કરાવી દેશે અને ગેહલોત સરકારને કોઈ ફરક નહીં પડે.
વિધાન સભાની શું હાલત છે?
રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો છે. જેમાં હાલ કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે જયારે ભાજપ પાસે 75 ધારાસભ્યો છે. કોંગ્રેસના પોતાના 101 ધારાસભ્યો છે અને બસપાના 6 ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું છે. બીજી બાજુ ભાજપના પોતાના 72 ધારાસભ્યો છે જયારે BJPને RLPના 3 ધારાસભ્યોનું સમર્થન છે.
કોંગ્રેસ અને ભાજપ સિવાય અપક્ષો અથવા અન્ય પક્ષના ધારાસભ્યોની કુલ સંખ્યા 18 છે
આ ધારાસભ્યોમાં BTPના 2 ધારાસભ્યો, CPMના 2 ધારાસભ્યો, RLDના 1 ધારાસભ્યો અને 13 અપક્ષના ધારાસભ્યોનો સમાવેશ છે.
જો પાયલોટના ધારાસભ્યો રાજીનામું આપશે તો થશે સર્જાશે આ સ્થિતિ
હવે સચિન પાયલોટના સમર્થક ધારાસભ્યોની સંખ્યા જો 24 માનવામાં આવે તો 24 રાજીનામાં સાથે વિધાનસભામાં 176 ધારાસભ્યો રહેશે અને સરકાર બનાવવા માટે બહુમતીમાં 89 ધારાસભ્યોની જરૂર પડશે. પાયલોટના નીકળવાથી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 83 થશે જે બહુમતી કરતા 6 ઓછી છે. બીજી બાજુ ભાજપ પોતાના 75 ધારાસભ્યો સાથે બહુમતીથી 14 બેઠક દૂર હશે.
આવા સમયે આ 18 અપક્ષ અને અન્ય પક્ષના ધારાસભ્યોનું સમર્થન મહત્વનું સાબિત થશે. આ 18માંથી કોંગ્રેસને ફક્ત 5 ધારાસભ્યો જયારે ભાજપને 14 ધારાસભ્યોની જરૂર રહેશે.