રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરીક કકરાટનો ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાભ ઉઠાવી શકે છે. આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે.
રાજસ્થાનમાં કોંગ્રેસના મોટા નેતાઓના ઝઘડાની અસર ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર પણ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત કે જે રાજસ્થાનને અડીને આવેલ વિસ્તાર છે. અહીં ગત વખતે પણ ભાજપ કોંગ્રેસથી પાછળ હતી. ભાજપ, કોગ્રેસના ઝઘડાનો ફાયદો ગુજરાતમાં પોતાની ચૂંટણી તાકાતને વધારવામાં ઉઠાવી શકે છે.
અશોક ગેહલોતને સોંપી છે ખાસ જવાબદારી
ગુજરાતમાં લગભગ 15 લાખ રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા મતદારો છે, જેમનો પ્રભાવ લગભગ 50 સીટો પર માનવામાં આવે છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ખાસ જવાબદારી સોંપી છે, પરંતુ ચૂંટણી પ્રચારની ચરમસીમાએ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા શબ્દયુદ્ધથી કોંગ્રેસની ગુજરાત ચૂંટણીની રણનીતિ પ્રભાવિત થઈ શકે છે.
ફાયદો ઉઠાવી શકે છે ભાજપ
ભલે તેનો સીધો ગુજરાત સાથે સંબંધ ન હોય, પરંતુ અશોક ગેહલોત અને સચિન પાયલટની નિવેદનબાજી કોંગ્રેસને જ મોંઘી પડી શકે છે. તેનો ફાયદો ભાજપ ઉઠાવી શકે છે.
ભાજપના એક મોટા નેતાએ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ પહેલેથી જ નબળી છે. હવે તેના આંતરીક કકળાટથી રાજ્યના મતદારોમાં ભાજપને વધુ મજબૂતી મળશે. આવી સ્થિતિમાં ભાજપનો વિકાસ અને સ્થાયી સરકારનો દાવો વધુ મજબૂતીથી જનતાની વચ્ચે પહોંચશે. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારમાં આદિવાસીઓનું વર્ચસ્વ છે અને ભાજપે આ તકનો લાભ ઉઠાવીને રાજસ્થાનના આદિવાસી નેતાઓને પણ આ વિસ્તારમાં સક્રિય કરી દીધા છે. આ ઉપરાંત ભાજપના અન્ય નેતાઓ પણ સક્રિય છે.
ભાજપે રણનીતિ બદલી
રાજસ્થાનમમાં ભાજપ ગેહલોત સરકારની વિરુદ્ધ જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં વ્યસ્ત છે, જેના કારણે તેના ઘણા નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે સમય ફાળવી શકતા નહોતા, પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં ભાજપે પોતાની રણનીતિ બદલી છે અને રાજસ્થાનથી ઘણા નેતાઓને ગુજરાતમાં બોલાવવામાં આવી રહ્યા છે.