સૂર્યગ્રહણ જોવાથી જયપુર અને આસપાસના વિસ્તારોના લગભગ 15 બાળકોની આંખો 70 ટકા સુધી ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક બાળકોને દેખાતું બંધ થયું હતું તો કેટલાકને ધૂંધળું દેખાતું હતું.
ચશ્મા વિના જોયું સૂર્યગ્રહણ
15 બાળકોને થઈ આંખની તકલીફ
બાળકોની આંખો 70 ટકા સુધી ખરાબ થઈ
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે યોજાયું હતું. તેને જોવાથી રાજસ્થાનની રાજધાની જયપુર અને તેની આસપાસના 15 બાળકોની આંખો 70 ટકા સુધી ખરાબ થઈ હતી. આ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે સવારે 07.59 મિનિટે શરૂ થયું હતું અને બપોરે 01.35 મિનિટે પૂરું થયું હતું. આ સમયે કુલ 5 કલાકને 36 મિનિટનું ગ્રહણ હતું. આ સમયે કેટલાક બાળકોએ ચશ્મા વિના કે સુરક્ષા વિના સૂર્યગ્રહણ જોયું હતું.
સુરક્ષા વિના સૂર્યગ્રહણ જોવાથી થઈ આવી અસર
જેના કારણે કેટલાક બાળકોને દેખાતું બંધ થયું હતું તો કેટલાકને ધૂંધળું દેખાતું હતું. છેલ્લા 20 દિવસમાં 1 ડઝનથી પણ વધારે બાળકોને આ કારણે સૌથી મોટી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આંખના ડોક્ટરે દરેક પ્રભાવિત વ્યક્તિઓની સારવાર શરૂ કરી છે અને કોશિશ કરવામાં આવી રહી છે કે આ બાળકો ફરીથી સારી રીતે જોઈ શકે.
સંપૂર્ણ રીતે સારવાર મુશ્કેલ
મળતી માહિતી અનુસાર આંખના વિભાગના ડોક્ટરે જણાવ્યું છે કે સૂર્યગ્રહણથી જે બાળકોની આંખોને નુકસાન થયું છે તેની સંપૂર્ણ ભરપાઈ મુશ્કેલ છે. બાળકોની સારવાર થઈ રહી છે અને જલદી જ તેઓ સારા થઈ જશે. પરંતુ રેટિના પર એટલી ખરાબ અસર પડી હતી કે તેઓ જોઈ શકશે પણ પહેલાં જેવી નજર રહેશે નહીં.
રેટિનાનો 70 ટકા ભાગ બળી ગયો, પીળો ડાઘ બની જવાથી દેખાતું ન હતું
આંખના ડોક્ટરના અનુસાર ચશ્મા વિના અને અન્ય કોઈ સુરક્ષા વિના સૂર્યગ્રહણ જોવાના કારણે બાળકોની આંખ પર ખરાબ અસર થઈ શકે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળકોના રેટિના બળી ગયા છે અને આંખની અંદર પીળો ડાઘ બની ગયો છે. જેના કારણે તેમને જોવામાં તકલીફ થઈ રહી છે. તેઓએ કહ્યું છે કે આ બાળકોની સારવાર ચાલુ છે પણ આશા છે કે તેમને થોડું સારું દેખાય.