વરસાદી વાતવરણ બાધારુપ બનતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સુરત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સુરત પ્રવાસ રદ કરાયો
વાતાવરણ ખરાબ હોવાના કારણે પ્રવાસ રદ કરાયો
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ગેહલોત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બરોબરનો માહોલ જામ્યો છે. જેને લઈને રાજકિય પક્ષોના આગેવાનોના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે. જેના ભાગરૂપે આજથી કોંગ્રેસ દ્વારા એકવાર ફરી ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સુરત ખાતે બેઠકમાં તેઑ હાજરી આપવાના હતા. પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે અશોક ગેહલોતનો સુરત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સુરત એરપોર્ટથી થયા રવાના
ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે. જેને લઈને મુલાકાત, મિટિંગ, બેઠક, જાહેરાતો, લ્હાણીઑનો દૌર પૂરબહારમાં ખીલ્યો છે. ત્યારે આજે અશોક ગેહલોત સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકમાં હાજરી આપવાના હતા પરંતુ વાતાવરણ ખરાબ વાતાવરણને પગલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સુરત મુલાકાત રદ કરી દેવામાં આવી છે. સુરત પ્રવાસ રદ કરીને તેઓ સીધા રાજકોટ પહોંચ્યા હતા. બીજી તરફ અશોક ગેહલોત ગુજરાતના અને સુરતના પ્રવાસે આવવાના હોવાથી પ્રદેશ કોંગ્રેસના નેતાઑ પર સુરત ખાતે પહોંચ્યા હતા. જે દરમિયાન અંતની ઘડીએ કાર્યક્રમ રદ કરાતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત એરપોર્ટથી પરત રવાના થયા હતા.
18 તારીખ સુધી સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વર અશોક ગેહલોતનો આ પહેલા આરોગ્યને લઇને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. બે વખત રદ થયા બાદ ફરી ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. જેમાં આજે તા. 16થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન છે. તમને જણાવી દઇએ કે, 2017માં અશોક ગેહલોત ગુજરાતના પ્રભારી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છવાઈ ગઇ હતી.