રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ ઓછુ થઇ રહેલું જોવા મળતું નથી. કોંગ્રેસ અને ભાજપ સતત એકબીજા ઉપર નિશાન તાકી રહ્યાં છે. રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતનું એક નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. ધારાસભ્યોની ખરીદીને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપ પર નિશાન તાકતા સીએમ ગેહલોતે દાવો કર્યો છે કે ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગનો ઓડિયો ઓરિજનલ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ઓડિયો પર શક છે તો અમે અમેરિકામાં તપાસ કરાવીશું. અમે આ ઓડિયો અમેરિકાની એફએસએલમાં પણ તપાસ કરાવા તૈયાર છે. ગેહલોતે કહ્યું કે જયપુર અને દિલ્હીની તપાસ પર ભરોસો નથી તો આ ઓડિયોની અમેરિકામાં તપાસ કરાવી શકીએ છીએ.
રાજસ્થાનના સંકટને લઇને વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમિત શાહના ઇશારા પર ઇઢી, સીબીઆઇની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરોડાથી અમે ગભરાવાના નથી. પરિવારજનો પર ED ની કાર્યવાહીને લઇને સીએમ ગેહલોતે કહ્યું, આ બધુ મોદી-શાહના ઇશારા પર થઇ રહ્યું છે. પહેલા આ એજન્સીઓની કાર્યવાહી પછી ખબર પડતી હતી. હવે દરોડા અંગે 3-4 દિવસ પહેલા જ ખબર પડી જાય છે. અમે દરોડાની કાર્યવાહીથી ડરવાના નથી.
પત્ર પર વિપક્ષને ઘેર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવા પર સીએમ અશોક ગેહલોતે કહ્યું કે કાલે પીએમ મોદી એમ ન કહે કે મને જાણકારી નહોતી કે મે પત્ર લખ્યો છે. તે રેકોર્ડમાં લાવવા માટે છે. ગેહલોતે કહ્યું કે પત્રને ત્રણ દિવસ સુધી જાહેર કરવામાં આવ્યો નહોતો. હવે જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણ દિવસ સુધી તો મે જાહેર કર્યો નહી, હવે જાહેર થયો. એટલા માટે મે પત્ર લખી બતાવી દીધું.
સીએમ ગેહલોતે કહ્યું લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ મજબૂત પક્ષ તરીકે રહેશે. ગેહલોતે કહ્યું પીએમ મોદી સારા વક્તા છે. એક હદ સુધી જનતાને પ્રભાવિત કરી શકે છે, પછી થાળી વગાડવી હોય તાળી પાડવી. કોરોનાને લઇને રાજસ્થાનની ચર્ચા દેશભરમાં થાય છે.