મુંબઇ: મહારાષ્ટ્રમાં પ્રાંતવાદ અને ભાષાવાદનું ઝેર ઘોળનારી રાજનીતિવાળા મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેનું વલણ બદલાયું છે. હવે તેઓ ઉત્તર ભારતીયોના મંચ પર નજરે પડશે. રાજ ઠાકરે એક નવી સંસ્થા ઉત્તર ભારતીય મહાપંચાયતના આમંત્રણમાં આગામી બીજી ડિસેમ્બરે કાંદિવલીમાં ઉત્તર ભારતીય સમાજ સાથે સંવાદ કરશે.
આ વાતની માહિતી મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ટ્વીટ કરીને આપી. તેઓએ આ આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે કાર્યક્રમથી ઉત્તર ભારતીયો પણ અજાણ છે.
આપને જણાવી દઇએ કે રાજની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સંસ્થા(મનસે) ઉત્તર ભારતીયોની ઘોર વિરોધી માનવામાં આવે છે. પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓએ વારંવાર ઉત્તર ભારતીય ટેક્સી ઓટો ચાલકો અને ફેરીવાળાઓને મેથીપાક ચખાડ્યો છે. આ સાથે જ રેલવે સ્ટેશનો પર પણ કેટલાક ઉત્તર ભારતીયો સાથે મારપીટ કરી છે તો આ તરફ મુંબઇમાં રેલવે બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલ કેટલાક વિદ્યાર્થીઓને માર માર્યો છે.
ત્યારે હવે રાજ ઠાકરે જ ઉત્તર ભારતીયોનો સંપર્ક કરવાની વાત કરી રહ્યા છે. આ મામલે મનસેના નેતા દેશપાંડેએ કહ્યું કે કોઇપણ મુદ્દા મામલે અમારા વિચાર જૂદા હોઇ શકે છે પરંતુ કોઇપણ સમાજના મંચ પર જઇને પોતાના વિચારો પ્રગટ કરવામાં કાઇ ખોટું નથી.
રાજ ઠાકરેનો આ નિર્ણય આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. ઉત્તર ભારતીયોના સંપર્ક માટે રાજને કોઇ ઉત્તર ભારતીય મંચની તપાસ છે. આ સાથે જ રાજ ઠાકરેને ખબર છે કે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોને સાથે લીધા વિના સત્તા હાંસલ કરવી સરળ નથી. ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં આ સંવાદની શું અસર પડે છે.