મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના પોલીટીકસમાં ચાલી રહેલી હલચલ પર હવે પ્રતિક્રિયા આપી હતી.
મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ઘણા વ્યક્તિઓના આવ્યા નિવેદનો
રાજ ઠાકરેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી
રાજ ઠાકરેએ આપ્યું નિવેદન
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી હલચલ આખરે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શાંત થઈ ગઈ છે. આટલા દિવસોથી આ સમગ્ર મુદ્દે મૌન સેવી રહેલા રાજ ઠાકરેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઉદ્ધવ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ નસીબને કર્તવ્ય સાથે જોડી દે છે, ત્યારે તેનું પતન તે જ દિવસથી શરૂ થઈ જાય છે. તેમણે ટ્વિટ કર્યું, "જે દિવસથી માણસ પોતાના સારા નસીબને પોતાની વ્યક્તિગત ફરજ માનવાનું શરૂ કરે છે, તે દિવસથી પતનનો પ્રવાસ શરૂ થઇ જાય છે. જો કે, આ ટ્વિટમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ ટ્વીટ દ્વારા ઉદ્ધવ પર કટાક્ષ કર્યો છે.
નવનીત રાણાએ પણ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો
આ સાથે જ ગયા મહિને હનુમાન ચાલીસાને લઈને ચર્ચામાં આવેલા અપક્ષ ધારાસભ્ય નવનીત રાણાએ પણ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે શિવસેનાનું નિર્માણ બાળાસાહેબ ઠાકરેએ કરાવ્યું હતું, પરંતુ 56 વર્ષની તેમની મહેનત પર ઉદ્ધવ ઠાકરેએ પાણી ફેરવી દીધું હતું. તેમણે કહ્યું કે, ઉદ્ધવના ઘમંડને કારણે પાર્ટી સાથે આવું થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્ધવે જે રીતે લોકો પર અત્યાચાર કર્યો છે તેના કારણે હવે તેમની પાસે માત્ર સંજય રાઉત, અનિલ પરબ અને આદિત્ય જ બચ્યા છે. તેણે કહ્યું, "મારો શું વાંક હતો? એ જ કે મેં હનુમાન ચાલીસા વાંચવાની વાત કરી હતી. "
અમિત માલવિયાએ પણ કમર કસી
ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના વારસાને કલંકિત કર્યો છે. તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે એક એવા વ્યક્તિ હતા જે સત્તામાં ન હતા ત્યારે પણ સરકારોને નિયંત્રિત કરી શકતા હતા, જ્યારે તેમના પુત્રો સત્તામાં હતા ત્યારે પણ તેમની પાર્ટીને નિયંત્રિત કરી શકતા ન હતા.
કંગનાએ કહ્યું- પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ થાય છે
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ જાહેર કરીને લખ્યું છે કે, "જ્યારે પાપ વધે છે ત્યારે સર્વનાશ થાય છે, ત્યાર પછી પુન:સર્જન થાય છે, જેને હનુમાનજીનો રુદ્ર અવતાર કહેવામાં આવે છે. આમ છતાં હનુમાન ચાલીસા અંગે આવા નિવેદનો કરવામાં આવ્યા હતા. જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ લગાવે છે, ત્યારે શિવ પણ તેને બચાવી શકતા નથી. "