મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્રને દખલ કરવા માંગ કરી છે.
મહારાષ્ટ્રમાં પરમબીરના લેટરથી ભારે વિવાદ
ઠાકરે સરકાર પર વધ્યું પ્રેશર
રાજ ઠાકરેએ કેન્દ્રને દખલ કરવા કરી માંગ
મહરાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર અત્યારે ખતરામાં છે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર જે આરોપ લગાવ્યા છે તે બાદ સરકાર પર દબાણ ખૂબ જ વધી ગયું છે અને એનએસપી તથા શિવસેના વચ્ચે દૂરી થશે તેવા ભણકારા વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા રાજ ઠાકરેએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પર નિશ્ચિત રૂપે પ્રેશર વધવા જઈ રહ્યું છે.
રાજ ઠાકરેનો સરકાર સામે રોષ
એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્રમાં ભારે રાજકારણ થઈ રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારને આ મામલે બોલાવવાની માંગ કરી દેવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરેએ આ માંગણી કરી છે. ઠાકરેએ કહ્યું કે એન્ટિલિયાની પાસે જે કાર હતી તે કઈ રીતે પાર્ક કરવામાં આવી? પહેલા આશંકા હતી કે આતંકવાદીઓ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે પણ હવે લાગી રહ્યું છે કે પોલીસનું જ કાંડ હતું.
સરકાર સામે ઉઠાવ્યા ગંભીર સવાલ
રાજ ઠાકરેએ પ્રેસ કૉંફરેન્સ કરીને કહ્યું કે આ મામલે તપાસ રાજ્ય સરકાર કરે તે યોગ્ય નથી, કેન્દ્રએ દખલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો આ કેસ કેન્દ્રીય એજન્સીઓ પાસે જશે તો ઘણા બધા નામ સામે આવશે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ઇતિહાસમાં પહેલા આવું કઈં થયું હશે જેમાં ગૃહમંત્રી પર આવા આરોપ લાગ્યા હોય.
ગૃહમંત્રીએ જવું જ પડશે : રાજ ઠાકરે
રાજ ઠાકરેએ કહ્યું કે તપાસ કરવી જોઈએ કે જીલેટીન આવ્યું ક્યાંથી? કોના ઇશારે કાર બહાર પાર્ક કરવામાં આવી હતી? મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં ગૃહમંત્રી પર આવા આરોપો લાગવા એ ખૂબ અપમાનજનક છે અને ગૃહમંત્રીએ ગમે તે કિંમતે જવું જ પડશે.
શરદ પવારે કરી સ્પષ્ટતા
મહારાષ્ટ્રમાં રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એનએસપીના પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કૉંફરેન્સ કરી હતી જેમાં તેમણે અનિલ દેશમુખને તાત્કાલિક હટાવી દેવાના નિર્ણયથી ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે રાજીનામાં પર મુખ્યમંત્રી વિચાર કરશે અને સાથે તેમણે એમ પણ કહ્યું કે આ આખા પ્રકરણથી મહારાષ્ટ્ર સરકારની છવિ પર કોઈ જ અસર નહીં પડે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે આ મામલે તપાસનો નિર્ણય પણ સીએમ જ લેશે.
શરદ પ્રવારે કહ્યું કે પરમવીર સિંહે આરોપો તો ગંભીર લગાવ્યા છે પરંતુ કોઈ પૂરાવા નથી. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ લેટરમાં કોઈ જ સહી નથી.જોકે તેમણે ખુલાસો કર્યો હતો કે અનિલ દેશમુખ આગામી એક બે દિવસમાં નિર્ણય લઈ શકાય છે.
શું છે પરમવીરના લેટરમાં?
મુકેશ અંબાણી કેસમાં પરમવીર સિંહને પોલીસ કમિશનર પદેથી હટાવાઇ દેવાયા હતા અને પરમવીર સિંહના ટ્રાન્સફરને લઇ અનિલ દેશમુખે કહ્યું કે આ રૂટીન ટ્રાન્સફર નથી, તેઓએ કેટલીક ભૂલ કરી છે. ત્યારે હવે પરમવીરે ઉદ્ધવ સરકારને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાજેને બોલાવ્યા હતા. વાજેને મહિનાનું 100 કરોડનું કલેક્શન હોટલ, રેસ્ટોરાં, બીયર બાર સહિતની જગ્યાથી કરવા કહ્યું હતું. લેટરમાં પરમવીર સિંહએ દાવો કર્યો છે કે મુંબઇમાં 1750 બાર, રેસ્ટોરાં સહિતની જગ્યાઓ છે જ્યાંથી કલેક્શન થઇ શકે છે. અને આ વાત સચિન વાજેએ જ તેમને કહી હતી. અનિલ દેશમુખે ACP સંજય પાટીલ, DCP ભુજબલને પણ બોલાવ્યા હતા. અને ACP સંજય પાટીલ, DCP ભુજબલને 40થી 50 કરોડનું કલેક્શન કરવા કહ્યું હતું.
મોહન ડેલકરની હત્યાની તપાસ મુંબઇમાં કરાવા માગતા હતા અનિલ દેશમુખ
લેટરમાં મોહન ડેલકરની આત્મહત્યાની તપાસને લઇને પણ ખુલાસો કર્યો. તેઓએ કહ્યું કે મેં અનિલ દેશમુખને કહ્યું હતું કે, ડેલકર દાદરા નગર હવેલીના સાંસદ છે એટલે તપાસ તેમને કરવી જોઇએ. પણ અનિલ દેશમુખ મુંબઇમાં તપાસ કરાવા માગતા હતા. અનિલ દેશમુખે મારી વાત ન માની અને SITની ઘોષણા કરી દીધી. પરમવીરે લેટરમાં લખ્યું છે કે સચિન વાજેએ દબાવ બનાવી મુકેશ અંબાણીનો કેસ પોતાની પાસે રાખ્યો.