લાઉડસ્પીકર પર ગાઇડલાઇન મામલે આજે મુંબઇમાં સર્વપક્ષીય બેઠક યોજાશે. પરંતુ તેમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે હાજર નહીં રહે.
લાઉડસ્પીકર પર ગાઇડલાઇન મામલે આજે મુંબઇમાં બેઠક
સર્વપક્ષીય બેઠકમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે રહેશે ગેરહાજર
તમામ પક્ષોએ બેઠકમાં હાજરી આપવા સંમતિ આપી
દેશભરમાં લાઉડસ્પીકરનો મુદ્દો થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે મહારાષ્ટ્રમાં આ મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે લાઉડસ્પીકરને લઈને તાજેતરમાં જ કેટલાંક નવા નિયમો બનાવ્યા હતાં પરંતુ આ વિવાદ હજુ પૂર્ણ નથી થયો. આ વિવાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને પણ એક વાર ફરી ઉજાગર કરી રહ્યો છે. જણાવી દઇએ કે, ઉદ્ધવ સરકારે આજે તમામ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરવા તમામ પક્ષોની બેઠક બોલાવી છે. ત્યારે તમામ પક્ષોએ આ બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે, પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે આ બેઠકમાં હાજરી નહીં આપે.
Maharashtra | MNS chief Raj Thackeray to not participate in the all-party meeting called by the state government to resolve the loudspeaker dispute: MNS leader Sandeep Deshpande
આ બેઠક અંગે જે માહિતી સામે આવી છે તે મુજબ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપશે, જ્યારે MNS તરફથી નંદગાંવકર અને સંદીપ દેશપાંડે પણ આ બેઠકમાં સામેલ થવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. એ સિવાય અન્ય કેટલીક નાની પાર્ટીઓના નેતાઓ પણ ત્યાં હાજર રહેશે.
જાણો કેમ મિટિંગ બોલાવવી પડી?
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ આ મહિને જ રાજ ઠાકરેએ શરૂ કર્યો હતો. તેઓએ લગભગ 14 દિવસ પહેલાં પોતાની પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ સરકારને કહ્યું હતું કે, રાજ્યમાં આવેલી તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટવા જોઈએ. જો રાજ્ય સરકાર આ કામ નહીં કરે તો તેઓ પોતે જ લાઉડસ્પીકર હટાવીને મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે. લગભગ 10 દિવસ બાદ રાજ ઠાકરે ફરી આ મુદ્દે બોલ્યા અને તેમણે દેશના હિંદુઓને એક થવા કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જો 3 મે સુધીમાં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તે પોતે જ તેને હટાવવાનું શરૂ કરી દેશે. તે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ કાયદો તોડે તો તે સ્વીકાર્ય નથી.
અમરાવતીના સાંસદ અને તેમના પતિની પણ ધરપકડ કરાઇ
વધુમાં તમને જણાવી દઇએ કે, અમરાવતીના સાંસદ નવનીત કૌર અને તેમના પતિ રવિ રાણાની પણ જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેઓએ એવી ચેતવણી આપી હતી કે, તેઓ માતોશ્રીની બહાર મુખ્યપ્રધાનના આવાસ પર હનુમાન ચાલીસા ગાશે. ભાજપના કિરીટ સોમૈયા, જેઓએ દંપતીને ટેકો આપ્યો હતો, તેમની ધરપકડ બાદ તુરંત "શિવસેનાના 100 ગુંડાઓ" દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલો કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યો છે.