બંગાળની ખાડીમાં હળવું દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે અને છેલ્લા 24 કલાકમાં159 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ખેતરોમાં ભરાયા પાણી,ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી રાજ્યમાં સચરાચર મેઘ મહેર થઇ રહી છે.હવામાન વિભાગની આગાહીને લઇ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ અંબાજીમાં ગાજવીજ સાથે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ બાદ મેઘરાજા પધાર્યા હતા જેને લઈને ચાચર ચોકમાં વરસાદની વચ્ચે દર્શનાર્થીઓએ જય અંબેનો નાદ કર્યો હતો.તો સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેધરાજાએ પધરામણી કરી હતી. બામણા, પુનાસણ અને જગતપુરામાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.
રવિવારે 159 તાલુકામાં વરસાદ
વધુમાં અમદાવાદમાં રવિવારે 10 વાગ્યા સુધી રાજ્યના 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધૂકામાં 2.5 ઈંચ, જેતપુરમાં 2.5 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, ચૂડામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ પડયો છે.
14 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી
દાહોદ, ઝાલોદ, લીમડી અને ગરબાડા, જેતપુર,મહીસાગર,સાબરકાંઠા, હિંમતનગર, ઈડર સહીતના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. ભારે વારસાદને લઇને મગફળી, સોયાબીન અને મકાઈના પાકને ફાયદો થતો હોવાથી જગતાનાતાતના હૈયા હરખાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બર સુધી કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી વરસાદની વકી સર્જાઇ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરશે તેવી આગાહી કરવામાં આવી છે. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.