ગુજરાતમાં આજે અમદાવાદ ઘણા શહેરોમાંઠેર ઠેર વહેલી સવારથી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વરસાદ જોવા મળ્યો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના શિયાળું પાકને ભારે નુકશાન થયું હોવાનું આશંકા છે.
અમદાવાદમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હોવાની આશંકા
ગુજરાતમાં આજે એકાએક કમોસમી વરસાદનું આગમન થયું જેને લઈને ખેડૂતોના પાકને ભારે નુકશા થયું હોવાનું સંભવના સેવાઈ રહી છે. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા અગાઉથીજ આગાહી કરી દેવામાં આવી હતી. જેથી લોકોએ પહેલાથીજ આ વખતે કમોસમી વરસાદને લઈને તૈયારીઓ કરી રાખી હતી.
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ
આજે વહેલી સવારથી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું જેમા સેટેલાઈટ, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શિવરંજની વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાથેજ શહેરના પૂર્વ વિસ્તારોમાં મણીનગર, ઈસનપુર, ઘોડાસર અને અમરાઈવાડીમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.
મોટા ભાગના શહેરોમાં કમોસમી વરસાદ
અમદાવાદ સહિત આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અરબી સમુદ્રીમાં લો પ્રેશર સર્જાતા આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી રહ્યો છે. જેમા આવતીકાલે પણ રાજ્યમાં વરસાદ રહેશે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજું પણ વરસાદની આગાહી છે.ડાંગ, તાપી, આહવા, સુરત, દાહોદ અને અમદાવાદ વરસાદની સ્થિતી રહેશે. સાથેજ ઉત્ત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઑના APMC સતર્ક
રાજ્યમાં હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડ હરકતમાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડે ખુલ્લામાં પડેલી 30 હજાર ગુણ મગફળી ઢાંકવાની કામગીરી કરી છે. ત્યારે જામનગર APMCમાં હજુ પણ ખુલ્લામાં 5 હજાર ઉપરાંત મગફળીની ગુણ જોવા મળી છે. એટલામાં ઓછું હોય તેમ ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયા પણ ચાલુ છે. અને ચાલુ રહેશે એમ સૂત્રો કહે છે. ત્યારે જો માવઠું પડે અને ભારે નુકશાની થવાની શક્યતા છે. તો આ તરફ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સૂચન કર્યુ છે. અને તેમણે જણાવ્યુ હતું કે કપાસ અને મગફળીના પાકને સલામત સ્થળે રાખવામાં આવે. ખુલ્લામાં રાખેલા પાકને ઢાંકી સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. જેથી માવઠાથી પાકને બચાવી શકાય.
માર્કેટયાર્ડમાં મગફળી ન લાવવા સૂચન
જૂનાગઢ, ભાવનગર અને સાબરકાંઠા માર્કેટયાર્ડમાં આવી રહેલી જણસી પર અસર થઇ છે. મગફળી, સોયાબીન અને ધાણાની આવક બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી જાહેરાત ન કરાઈ ત્યાં સુધી આવક બંધ રહેશે. તો આ તરફ ભાવનગર યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ સુધી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભાવનગર યાર્ડમાં હાલ મગફળીની 40 હજારથી વધુ ગુણ છે. વરસાદ આવે તો યાર્ડમાં રહેલો માલ પલળી જવાની ભય રહેલો છે. તો હિંમતનગર યાર્ડમાં પણ મગફળીની આવક વધી છે. 400 થી 500 ટ્રેકટર સાથે ખેડૂતો યાર્ડમાં પહોચ્યા હતાં. અને મગફળી પલળે નહીં તે માટે ખેડૂતોએ તૈયારી રાખી હતી.
હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 30 નવેમ્બર સાંજથી વાતાવરણમાં પલટો આવશે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું થઈ શકે છે. 30થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. ખેડૂતો માટે પાક અંગે હવામાને માર્ગદર્શિક જાહેર કરી છે.માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. હવામાન વિભાગના મતે અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, તાપી અને આહવામાં વરસાદ વરસી શકે છે. તો આ તરફ મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે. તેમજ સમી, હારીજ, કડી, બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આમ આ માવઠુ ભારે કમોસમી વરસાદ વરસાવી શકે છે.