અમદાવાદીઓને ગરમીથી રાહત આપવા મેઘની ધમાકેદાર એન્ટ્રી, ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, આશ્રમરોડ , CG રોડ, SG હાઇવે પર પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર થયો વરસાદ
વીજળી ના કડાકા સાથે વરસાદ
પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ થયો છે. વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે. આશ્રમરોડ, CG રોડ, SG હાઇવે પર પાણી ભરાય ગયા છે. આગામી 15 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ અને રથયાત્રાના દિવસે પણ વરસાદ જોવા મળતો જ હોય છે.
સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. ખેડબ્રહ્મા, વડાલી, ઇડર પંથકમાં વરસાદ થયો છે. આ પંથક એકાએક આકાશમાં ચઢી આવેલા ઘટાટોપ વાદળોથી અંધકારમય બન્યો હતો. ત્યારબાદ એકાએક વરસાદ ત્રાટક્યો હતો. એકાદ કલાક અનરાધાર વરસેલા વરસાદે જે-તે વખતે નગર અને ગામોના રોડ માર્ગોને પાણી-પાણી કરી દીધા હતા. કાગડોળે વરસાદની રાહ જોતા ભૂમિપુત્ર પરિવારોએ હાશકારાની લાગણી અનુભવી હતી. વરસાદની ધમાકેદાર બેટીંગ કરી છે. આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. જેને લઈ અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારે જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લીલછા, ધોલવાણી, માંકરોડા, વેજપુર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આમ જિલ્લામાં વરસાદના લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતાં મુરઝાતા ખેતીપાકને જીવંતદાન મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણ દેવ બરાબર કોપાયમાન થઈ અગનગોળા વરસાવતા ખેતીના પાકો મૂરજાઈ રહયા હતા. ત્યારે રવિવારે જિલ્લામાં વરસાદ શરૂ થતાં થોડાક અંશે ખેડૂતોને રાહત થઈ હતી.
ગીર સોમનાથમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સતત બીજા દિવસે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આવતા 36 કલાકની ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. તો જિલ્લામાં ભારે આગાહીના પગલે NDRFની એક ટીમ વલસાડ પહોંચી છે. આ ટીમે વલસાડના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ભારે વરસાદ, વાવાઝોડું, તોફાન અને પુર જેવી પરિસ્થિતિમાં રાહત બચાવની કામગીરી વખતે ઉપયોગમાં આવતા તમામ આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ NDRFની ટીમના અધિકારીઓ અને જવાનોએ શહેરના નીચાણવાળા વિસ્તારો અને નદીના વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ સાથે જ દરિયાકિનારા તિથલ, શહેરના કાશ્મીરા નગર, બરૂડિયાવાડ અને પારડી સહિતના વિસ્તારોની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ રાહત બચાવની કામગીરીની જરૂર પડે તો કેવી રીતે કાર્યવાહી અને રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય .? તે અંગે પણ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આમ હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમ વલસાડમાં સક્રિય થઇ છે.