રાજ્યમાં થોડા દિવસ અગાઉ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ફરી આજે બનાસકાંઠાના વાવ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતો. તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી કરી છે.
પરંપરાગત હવામાન જાણકાર અંબાલાલ પટેલે ની આગાહી
ચોમાસાને લઈને પરંપરાગત હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં એકંદરે ચોમાસુ સારુ રહેશે અને આ વખતે જૂનની શરૂઆતથી ચોમાસુ બેસશે તેવી આગાહી તેમણે કરી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં વંટોળની શક્યતા હોવાનું પણ તેમણે કહ્યુ છે. તેમજ અમદાવાદમાં ૩૫ ઇંચ અને સુરતમાં ૭૫ ઇંચ વરસાદની જ્યારે વલસાડ અને ડાંગ જીલ્લામાં ૧૦૦ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 21 એપ્રિલથી ફરી ગરમીની શરૂઆત થશે અને 26 એપ્રિલ બાદ ગરમીનુ પ્રમાણ વધશે તેવી પણ આગાહી તેમણે કરી છે.
મહત્વનું છે કે, જુનની શરૂઆતમાં ભારતના દક્ષિણ છેડે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. તો ગુજરાતમાં રોહિણી-સૂર્ય નક્ષત્રમાં આંધી-ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી તેમણે કરી છે. આ ઉપરાંત આ વર્ષે અંગારક યોગ હોવાથી વરસાદની વહેચણી અસામાન રહેવાની પણ તેમણે આગાહી કરી છે. જેને લઈને કોઈ ભાગમાં અતિ ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થશે તેમ તેમણે કહ્યું છે.
હવામાન વિભાગની આગાહીઃ પંજાબ, હરિયાણા, દિલ્લીમાં વરસાદના એંધાણ
ગઈ કાલથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ સુધી દિલ્હી એન.સી.આર, પંજાબ અને હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે દિલ્હી એન.સી.આર.માં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ દિલ્હીના અનેક વિસ્તારમાં ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે મોસમનો મિજાજ બદલાયો છે.
તો હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં બદલાયેલા મોસમ બાદ રાજસ્થાન અને હરિયાણા ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.