રાજ્યમાં ચોમાસું શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે. જો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘ મહેર થઈ નથી. જેના કારણ ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઉનાળામાં ઉઠેલા પાણીના પોકાર હજુ પડઘાઈ રહ્યા છે. જો કે, ક્યાંક માનવીય ભૂલના કારણે પણ નાગરિકોને પાણી વગર ટળવળવું પડે છે. અરવલ્લી જિલ્લાના શામળાજીના રૂદરડી ગામમાં પણ કંઈક આવી જ હાલત છે.
રાજ્યમાં અનેક જગ્યાએ અનરાધાર તો અહીં જળસંકટ
ઉપરના આ બે વિરોધાભાસી દ્રશ્યો આપણા જ રાજ્યના છે. રાજ્યમાં જ્યાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. જગતના તાત માટે કાચા સોના જેવું જળ વરસી રહ્યું છે અને વહી રહ્યું છે. જાણે કુદરત મહેરબાન થઈ છે. તો તેનાથી વિપરિત એવી બીજી તસવીર રાજ્યના અરવલ્લી જિલ્લાના રૂદરડીમાંથી સામે આવી છે. અહીં પાણી વિના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એક ધીમી ધારે પડતા પાણીના સ્રોત પર ગામ આખાને આધાર રાખવો પડે છે. એ પણ ક્યારેક નસીબ થતું નથી. જેના કારણે ભરચોમાસે ગામના લોકોને પાણીની શોધ માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે.
આ સમસ્યા કુદરતી નહીં પરંતુ જવાબદારોની મનમાની
જો કે અરવલ્લી જિલ્લાના શામળાજી પંચયાત વિસ્તાર હેઠળ આવેલા રૂદરડી ગામમાં આ સમસ્યા કુદરતદત્ત નથી. હકીકતમાં પાણીની તંગીની આ સમસ્યા તંત્રની અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની મનસૂફીના કારણે ઊભી થઈ છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા શામળાજી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના રૂદરડી ગામે 500 લોકો વસવાટ કરી રહ્યા છે. ગામમાં પીવાના પાણી માટે મેશ્વો જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ પાણીનો પુરવઠો પહોંચાડતી પાઈપ લાઈન તૂટી ગઈ છે જેને રીપેરીંગ કરવામાં નહિ આવતા ગામમાં આવતો પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. જેના કારણે ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગામમાં પાણી નહીં મળતા લોકોને દૂર એક કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. પંચાયત દ્વારા પણ ગામની પાણીની સમસ્યા અંગે પાણી પુરવઠામાં રજુઆત કરવા છતાં કોઈજ પગલાં ભરવામાં નહીં આવતા ગ્રામજનોએ મટલાં ફોડી વિરોધ કર્યો હતો.
રજૂઆત છતા પુરવઠા વિભાગ બહેરુ બન્યું
જો કે ગ્રામજનોએ પાણીની તકલીફ અંગ સરપંચને પણ અનેકવાર રજૂઆત કરી છે. જો કે સરપંચની હાલત પણ હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. પાણીની પાણીલાઈન ભંગાણની આ સમસ્યા બાબતે સરપંચે પાણી પુરવાઠા અને મેશ્વો જૂથપાણી પુરવઠાના અધિકારીઓને પણ રજૂઆત કરી છે. પરંતુ કોઈએ પાઈપ લાઈન રિપેરિંગ માટે કામ શરૂ કર્યું નથી. એટલું જ નહીં સરપંચ દ્વાર વધારે રજૂઆત કરવામાં આવે છે. તો પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચને ઉદ્ધતાઈ ભર્યા જવાબ મળી રહ્યા છે. એક કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે ગ્રામજનો પાણી માટે હાલાકી વેઠી રહ્યા છે.
હાલ તો એક તરફ હજુ સુધી વરસાદ નહી વરસતા રૂદરડી ગામના નાગરિકો એમ પણ પરેશાન છે. ત્યાં એક પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે ગ્રામજનો વધારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્રને ગ્રામજનોની વેદના ક્યારે સંભળાય છે.