રાજ્યમાં 15 જૂનથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ચેરાપુજી તરીકે ઓળખાતા વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન
વલસાડ, સુરત, નવસારીમાં વરસાદની બઘડાટી
અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે.સવાર થી જિલ્લા ના તમામ તાલુકાઓ માં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.જિલ્લા ના વાપી વલસાડ અને ઉમરગામ તાલુકામાં ભારે પ્રથમ વરસાદ થી જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.ભારે વરસાદ થી વાપી શહેર ના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.તો વલસાડ શહેર અને ઉમરગામ માં પણ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તો વાવણીલાયક વરસાદ વરસી રહ્યો હોવાથી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે ક્યાં ક્યાં થયો વરસાદ?
વલસાડ: ઉમરગામમાં સૌથી વધુ 5.8 ઈંચ, પારડીમાં 3 ઈંચ, વાપીમાં 3.66 ઇંચ, વલસાડ શહેરમાં 3.74 ઈંચ,
રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.' તો બીજી બાજુ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '26-27 જૂન બાદ વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.' મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં ઉમરગામ, વાપી, પારડી સહિતના અનેક સ્થળે વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ વરસશે: હવામાન વિભાગ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ વરસશે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. નવસારી, સુરત, દમણ-દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 MM વરસાદ પડ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.'
નદીઓના જળસ્તરમાં થશે વધારો: અંબાલાલ પટેલ
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં 26-27 જૂન બાદ વડોદરા, આણંદ અને ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી પડશે સારો વરસાદ વરસશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદ ઘટશે. નદીઓના જળસ્તરમાં વધારો થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવા ખેડૂતોને અંબાલાલે સલાહ આપી.'
અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે: હવામાન વિભાગ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 'અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પણ આજે વરસાદ વરસી શકે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતા રહેલી છે.'