લો પ્રેશરની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી
સુરત અને નવસારીમાં વાતાવરણમાં પલટો
કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ
3 દિવસ દ.ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું.તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો.મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
નવસારીમાં પણ વરસાદી વાતાવરણ
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ વાતાવરણ બદલાયું છે. 11 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના સમાચાર છે. આ સિઝનમાં માવઠા પડવાથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.
એલર્ટ રહેવા સુચના
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો..આકાશ માં વાદળો છવાયા છે..ત્યારે કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગદ્વારા એલર્ટ રહેવાની સૂચના.આપવામાં આવી છે.અધિકારી સંજય પરમાર દ્વારા પત્ર લખી માર્કેટ યાર્ડ ના વેપારીઓ તેમજ ખેડૂતો ને પોતાનો માલ સામાન સુરક્ષીત રાખવા સૂચના આપવામાં આવી છે.તેમજ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરવામાં આવ્યા છે.
3 દિવસ વરસાદની આગાહી: હવામાન વિભાગ
લો પ્રેશરની અસર રાજ્યમાં 3 દિવસ સુધી રહેશે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોના જીવ તાળવે ચોટયા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથેજ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે વધુમાં ફરીથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે