જળવાયુ પરિવર્તનની કેવી અસર હોય છે તેનો અનુભવ આપણને ઉનાળામાં અને ચોમાસામાં જ થઈ જાય છે. આ વખતે તપેલા આકરા તાપે એવી આશા જગાવી હતી કે, રાજ્યમાં ચોસાસું સંતોષકારક રહેશે. પરંતુ તે આશા ઠગારી નીવડી છે. હાલ અષાઢ માસ પણ પૂર્ણાહુતિ તરફ છે પરંતુ ખેતરોમાં વરસાદના અભાવે મોલાતો મુરઝાઈ રહી છે તો બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં મેઘાએ હાહાકાર સર્જ્યો છે અને નદીઓએ વિનાશ વેર્યો છે.
જળવાયુ પરિવર્તનની કેવી અસર હોય છે તેનો અનુભવ આપણને ઉનાળામાં અને ચોમાસામાં જ થઈ જાય છે. આ વખતે તપેલા આકરા તાપે એવી આશા જગાવી હતી કે, રાજ્યમાં ચોસાસું સંતોષકારક રહેશે. પરંતુ તે આશા ઠગારી નીવડી છે. હાલ અષાઢ માસ પણ પૂર્ણાહુતિ તરફ છે પરંતુ ખેતરોમાં વરસાદના અભાવે મોલાતો મુરઝાઈ રહી છે તો બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં મેઘાએ હાહાકાર સર્જ્યો છે અને નદીઓએ વિનાશ વેર્યો છે. ત્યારે જોઈએ જવાબ દેતા પર્યાવરણ પરિવર્તનનો આ અહેવાલ.
આ છે એવા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરનારા કે જ્યાં વરસાદ કાં તો રિસાઈ ગયો છે કાં તો હજુ દસ્તક જ દીધી નથી. દેશના પોણાભાગનાં હિસ્સામાં વરસાદના અભાવે મોલાત મુરઝાઈ રહી છે. જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો છે. તો તેનાથી વિપરિત બીજા દ્રશ્યો ઉત્તર ભારતમાં વરસાદે સર્જેલા વિનાશના છે. ઉત્તર પૂર્વ ભારતમાં મુખ્ય નદીઓમાં પૂરના કારણે વિનાશ વેરાઈ રહ્યો છે. નેપાળમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂર્વોત્તર ભારતના નાગરિકો પોતાના ઘરબાર છોડવા મજબૂર થયા છે આને કુદરતની લીલા કહેવાય? ના આને વિનાશલીલા જ કહેવાય.
ખાનગી અને સરકારી તમામ હવામાન સંસ્થાઓએ આ વર્ષે ગયા વર્ષ જેવું જ ચોમાસુ હોવાની આગાહી કરી હતી પરંતુ એના પહેલા પગલા જ બતાવે છે કે ચોમાસુ ધાર્યા કરતા વધુ નબળુ પુરવાર થવા તરફ ગતિ કરી રહ્યું છે. જેઠ અને અષાઢ બંને ભારે વરસાદના મહિનાઓ છે. પરંતુ જે રીતે આ અષાઢ મહિનો કોરોધારોક પસાર થઈ રહ્યો તેણે ખેડૂતોમાં ચિતા જન્માવી છે. જો તે આવો જ અધિક કોરોમોરો પસાર થશે તો ખેતી ઉપરાંત પીવાના પાણીનું પણ સંકટ સર્જાશે તેવો ભય સતાવી રહ્યો છે.
સૌરાષ્ટ્રના સાગરકાંઠાને બાદ કરતા રાજ્યના બીજા ભાગોમાં વરસાદ આશાસ્પદ રહ્યો નથી. અલ્પવિનાશક નીવડેલુ વાવાઝોડુ 'વાયુ' હકિકતમાં એની પાછલી અસરમાં હવે ભારે વિનાશક હોય એવું દેખાય છે. ગુજરાતના દરિયા કિનારાને દૂરથી જ સ્પર્શીને પાછું ફરી ગયેલું વાયુનું વાયુ મંડળ આ ચોમાસા માટે ગંભીર નુકશાનકારક સાબિત થઈ રહ્યું હોય એવું હવે દેખાય છે.
જુલાઈ મહિનાના 15 દિવસ પૂરા થઈ ગયા છે. છતાં હજી સુધી રાજ્યમાં સાર્વત્રિક થયો નથી. વર્તમાન સ્થિતિ મુજબ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા અને ભરુચ આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં હજી સુધી વાવણી લાયક વરસાદ પણ થયો નથી. અત્યાર સુધીમાં 159.4 મીમી વરસાદ થવો જોઈએ તેની સામે અત્યાર સુધી માત્ર 74.4 મીમી જેટલો વરસાદ થયો છે. રાજ્યની 85થી 90 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. જેમાંથી 60 લાખથી વધુ હેક્ટર જમીનમાં વરસાદ આધારીત ખેતી થાય છે. જેમાંથી મોટા ભાગના વિસ્તારોમાં હજી સુધી મેઘરાજાની મહેરબાની વરસી નથી. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં અત્યારે ચિંતા પ્રસરી ગઈ છે.
તો આ તરફ ભારતના પૂર્વોત્તર હિસ્સામાં જળ એ જ આફતનું કારણ બન્યું છે. વરસાદ અને પાડોશી દેશ નેપાળથી આવેલા પૂરના કારણે દેશના પૂર્વોત્તર હિસ્સાના અનેક રાજ્યોમાં ભીષણ વિનાશનાં દ્રશ્યો સર્જાયા છે. અસમના અનેક જિલ્લાઓ બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના કારણે પૂરગ્રસ્ત થઈ ગયા છે. બિહારમાં કોશી જળાશયના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા રાજ્યમાં પૂરની સ્થિતિ ભયાનક બની ગઈ છે. ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં બિહારમાં 4 અને 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં ઉત્તરીય જિલ્લાઓમાં અને ઉત્તર પ્રદેશનાં પૂર્વીય જિલ્લાઓમાં નદીઓમાં પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદ જ્યાં વરસ્યો છે ત્યાં સારો છે પરંતુ દેશનો ઘણો મોટો પ્રદેશ એવો છે જ્યાં પહેલા રાઉન્ડનો વરસાદ પણ હજુ બાકી છે. કેટલાક રાજ્યોમાં આકાશમાંથી પસાર થતા મેઘદૂત જેવા વાદળો દેખાય છે ખરા પરંતુ તેઓ વરસ્યા વિના જ પસાર થઈ જાય છે. આજ સુધીના સરેરાશ આંકડાઓ બતાવે છે કે ભારતીય ચોમાસાનો પ્રથમ અધ્યાય ઘટ સાથે પુરો થવા તરફ છે જેણે નવી ચિંતા જન્માવી છે.