ડીસા અને અંબાજીમાં વરસાદી ઝાપટા, હવામાન વિભાગ 22 તારીખ (શનિવાર) ખેડૂતો માટે ભારે
બનાસકાંઠા જિલ્લામા વરસાદી માહોલ
ડીસા અને અંબાજીમાં માવઠું
ખેડૂતોના રવિપાકને થશે નુકસાન
બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. રાત્રે હળવા વરસાદી ઝાપટા આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બપોર બાદ વાદળો છવાતા વાતાવરણ પલટયું હતું. ભર શિયાળે વરસાદી માવઠું થતાં રવિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તો બીજી તરફ ડીસા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભરશિયાળે ચોમાસા જેવા માહોલથી ખેડૂતોને માથે ચિંતાના વાદળ છવાયા છે.
ખેડૂતોની ચિંતા વધી..!
ગ્લોબલ વોર્મિંગની અસર હવે વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. જેને કારણે ઋતુચક્ર સતત બદલાતું રહ્યું છે. જુલાઈ બાદ શરૂ થતો વરસાદ મોડે સુધી રહે તો ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. તેમાં પણ ચોમાસા બાદ સમયાંતરે થતો કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દે છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 22 જાન્યુઆરીથી કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. જેને પગલે નવસારીના શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ કમોસમી માવઠું થાય તો ફળોનો રાજા કહેવાતી કેરીના મોર પણ ખરવા સાથે ફૂગ જન્ય રોગ લાગી શકે છે તેમજ ડાંગરની રોપણીની તૈયારી થઈ છે, જેમાં વરસાદ આવે તો જમીન ભેજવાળી રહેતા વાવણીમાં પણ મુશ્કેલી સર્જાવાની ભીતિ છે. શેરડીના પાકમાં પણ કમોસમી માવઠું નુકસાની સમાન બની શકે એવી ચિંતા ખેડૂતો મને સતાવી રહી છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 21ના રોજ એટલે કે, આજે અમદાવાદ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને તા. 21, 22 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ઠંડીનું જોર પણ વધશે
23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે