રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીને પગલે ડાંગમાં વરસાદી માહોલ, અનેક ઠેકાણે વાદળછાયું વાતવરણ
રાજ્યમાં વાતાવરણમાં જોવા મળ્યો પલટો
ડાંગના સાપુતારામાં વરસાદ
મોટા ભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યમાં શિયાળો જતા જતાં ખેડૂતોને નુકસાન કરાવીને જશે. કારણ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે હાલમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે .તો આ તરફ ડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.
સાપુતારામાં વરસાદી માહોલ
ડાંગના સાપુતારામાં તો એવું લાગે કે જાણે ચોમાસુ બેસી ગયુ હોય. ડાંગમાં હરિયાળી તો ખરી જ અને તેમા પણ આવા આહલાદ્ક વાતાવરણને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણે કે ડાંગ આખુ ધુમ્મસની ચાદર ઓઢીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. વરસાદ વરસતા ડાંગના સૌંદર્યમાં વધારો થવા પામ્યો હતો . તો સાથે જ વાતાવરણ પણ ઠંડુગાર થયુ હતું.
હવામાન વિભાગે કરી છે આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 7 થી 10 માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં તથા આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે- અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.તેઓએ જણાવ્યુ કે 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
કેસર કેરીને થશે અસર
રાજ્યમાં અવારનવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. તો વળી કેસર કેરીના પાક પર પણ અસર વર્તાઇ રહી છે. આંબા પર ફ્લાવરીંગ ઓછા જોવા મળતા કેસર કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.