કચ્છને બાદ કરતાં રાજ્યના બાકી સમગ્ર હિસ્સામાં મેઘમહેર યથાવત છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલો ધમાકેદાર વરસાદ આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી પહોંચીને ઠરેલ પાણી વરસી રહ્યો છે. આ તરફ જગતનો તાત આકાશથી વરસી રહેલા કાચા સોનાને જોઈને હરખ પામી રહ્યો છે. તો મહેનતકશ ખેતમજૂરોના હાથમાં ધાનના ઢગલાં કરી દેવાનો ઉત્સાહ સંચારિત થઈ ગયો છે. જોઈએ અવિરત વરસતી અમીધારાનો અને પ્રફુલ્લિત થતી જીવનધારાનો આ અહેવાલ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાનો જે રીતે પ્રારંભ થયો હતો તેણે હજુ પણ પોતાનો વેગ જાળવી રાખ્યો છે. ચોમાસાની ધારાએ કચ્છને બાદ કરતાં લગભગ બાકીના સમગ્ર રાજ્યને જળતંબોળ કરી દીધું છે. જો કે આ વખતે તેણે દક્ષિણ ગુજરાત પર વધારે રાજીપો ઠાલવ્યો છે.
ગિરાધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠયું
તો આ તરફ નવસારીના વાંગણમાં વરસાદને પગલે આંકડા ધોધનું સૌદર્ય ખિલ્યું છે. આંકડા ધોધમાં વહેતી પાણીની ધારાનું સૌંદર્ય માણવા સૌંદર્યપ્રેમીઓ ઊમટી પડયા હતા. તો આ તરફ સતત વરસતા ભારે વરસાદને પગલે ડાંગમાં આવેલી અંબિકા નદી બે કાંઠે થઈ છે. સાથે જ ડાંગમાં આવેલા ગિરાધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠયું છે. સાપુતારા જતા પ્રવાસીઓ પણ ગીરા ધોધ જોવા માટે રોકાઈ ગયા હતા. ઉનાળા પછી ગીરા ધોધ વહેતો થતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
દમણગંગા બે કાંઠે વહેતી થઈ
તો આ તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં 24 હજાર 191 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા 1.80 મીટર ખોલાયા છે. તેમજ ડેમમાંથી 35 હજાર 160 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યુ છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા બે કાંઠે વહેતી થઈ છે.
હડફ ડેમની જળસપાટીમાં થયો વધારો
તો આતરફ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે પંચમહાલ જિલ્લાના જળાશયોની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલ વરસાદને પગલે હડફ ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે હડફ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
ખેડૂતોમાં ખુશીની લહેર
રાજ્યમાં અમીધારા યથાવત છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન છે. તેમાં વધારામાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદને કારણે ઓરસંગ નદીના પાણીના પ્રવાહમાં સતત વધારે થઈ રહ્યો છે અને ઉપરવસમાં ભારે વરસાદને કારણે બોડેલી નજીક જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે. જોજવા આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
મેઘની સાર્વત્રિક મહેરને કારણે ચારે તરફ પ્રકૃતિ ખીલી ઊઠી છે. ત્યારે જો ચોમાસા દરમ્યાન કુદરતી સૌંદર્યના ભરપૂર દર્શન કરવા હોય તો આદિવાસી પંથક ધરાવતા વાંસદા તાલુકામાં કરી શકાય છે. અહીં સમગ્ર પંથકમાં ચારેતરફ ખિલેલાં લીલાંછમ વાતાવરણથી મન અને તન પ્રફુલ્લિત થઇ જાય એવો નજારો સર્જાયો છે. અહીંનો અહલાદક નજારો જોવા માટે દુર દુરથી સહલાણીઓ આવી રહ્યા છે.