બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain with strong winds in many districts of Gujarat
Malay
Last Updated: 09:45 AM, 7 March 2023
ADVERTISEMENT
ગુજરાતભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે. રાજ્યમાં હજુ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓના વાતવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન રાજ્યમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યાં છે.
રાજકોટમાં વીજળી પડતા ખેડૂતનું મોત
રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.
રાપરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ
કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત
રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવને બે મહિલાઓના પણ જીવ લીધા છે. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પર પડતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં અન્ય એક મહિલા અને બાળકીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારે પવનથી વીજપોલ પડતા એક મહિલાનું મૃત્યુ
તો સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLના એક મહિલા કર્મચારીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. UGVCLના મહિલા કર્મી મીતાબેન ભટ્ટ મહાવીરનગરથી મોતીપુરા એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે રોડ વચ્ચે લગાવેલ સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી થઈને તેમની ઉપર પડ્યો હતો. જેથી તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાકર્મીના નિધનને પગલે સમગ્ર પરિવારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે.
કોસાડ ગામે વીજળી પડતા ઝાડ સળગી ગયું
સુરત અમરોલીના કોસાડ ગામ પણ ગઈકાલે વીજળી ખાબકી હતી. કોસાડ ગામે તાડના ઝાડ પર વીજળી પડવાની ઘટના બની હતી. ઝાડ પર વીજળી પડતા તાડનું ઝાડ ઉભે ઉભું ભડ ભડ સળગી ઊઠ્યું હતું. જેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.