શાસકોએ ક્યાં પાણી ભરાય છે તેની વિગતો તંત્ર પાસે માગી, કેચપિટ સફાઈ, નવા મશીનહોલ વગેરેથી કેટલાંક સ્થળે પાણી ભરાતાં નથી
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા સમસ્યા
4૦ જગ્યાઓએ થોડા વરસાદમાં પણ પાણી ભરાય છે
AMCએ તૈયાર કર્યું લિસ્ટ
અમદાવાદ શહેરમાં આ વખતે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. ગત તા. ૧ જુલાઈએ નીકળેલી રથયાત્રા વખતે મેઘરાજાએ અમીછાંટણા કરતા લાખો ભક્તો ભાવવિભોર બની ગયા હતા ત્યાર બાદ જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને ચાલુ ચોમાસાની સિઝનનો ૬૦ ટકા વરસાદ વરસાવી દીધો છે. અમદાવાદમાં ક્યારેક ઝરમર વરસાદ તો ક્યારેક મુશળધાર તો અનેક વખત ઝાપટાં પડતાં હોઈ લોકો હવે વરસાદથી મનોમન કંટાળ્યા છે. અષાઢ મહિનો હજુ બાકી હોઈ નાગરિકો ૨૯ જુલાઈથી શરૂ થનારા પવિત્ર શ્રાવણ માસની આતુરતાભેર રાહ જોઈ રહ્યા છે, કેમ કે શ્રાવણનાં સરવરિયાં જાણીતાં છે. જોકે તંત્ર દ્વારા તૈયાર કરાયેલી અગાઉના ચોમાસાની યાદી મુજબ જો શહેરમાં ભારે વરસાદ ખાબકે તો ૪૦ જેટલાં સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જ જશે. અત્યારના ચોમાસામાં પણ આ સ્થળો પૈકીનાં ઘણાં સ્થળ ભારે વરસાદમાં જળબંબાકાર થયાં છે.
અમદાવાદમાં સિઝન ૨૩.૩૭ ઈંચ વરસાદ પડ્યો
શહેરમાં આજે સવારના છ વાગ્યા સુધીમાં ચાલુ ચોમાસાની સિઝનનો ૫૯૩.૪૯ મિ.લી. એટલે કે ૨૩.૩૭ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ગઈ કાલ રાતના દસથી આજે સવારના છ વાગ્યા સુધીમાં સાવ નગણ્ય એટલે કે ૦.૮૯ મિ.લી. વરસાદ પડ્યો હતો. રાતે વરસાદે લગભગ વિરામ લેતાં આજે સવારે લોકોએ નોકરી-ધંધા તેમજ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ શાળા-કોલેજ જવાના સ્થળે રાહત અનુભવી હતી.
કયા 40 વિસ્તારોમાં પાણી ભરાશે જ?
બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદથી ચોમાસામાં શહેરનાં ૪૦ સ્થળો જળબંબાકાર થયાં હતાં, જેમાં પૂર્વ ઝોનના નિકોલના ગોપાલ ચોકથી કેનાલ અને ખોડિયાર મંદિરથી જીવનવાડી થઈ કેનાલ સુધી દોઢ-દોઢ ફૂટ પાણી, દક્ષિણ ઝોનના મક્તમપુરાના ઘાંચી હોલ અને ફઝલે રહેમાની ખાડામાં દોઢ-દોઢ ફૂટ, દક્ષિણ ઝોનના વટવા વોર્ડની બુરહાની સોસાયટીમાં દોઢ ફૂટ અને મધ્ય ઝોનના શાહીબાગના ગિરધરનગર સોસાયટીના ટીપી રોડ ખાતે બે ફૂટ પાણી ભરાયાં હતાં. ઉત્તર ઝોનના નરોડા હિલોની રોડ ખાતે ત્રણ ફૂટ, હરિદર્શન ચાર રસ્તા અને વ્યાસવાડી ખાતે બે-બે ફૂટ વરસાદી પાણી ભરાયાં હતાં.
પાણી ભરાવા થવાનો ઉપાય શું?
જોકે કેચપિટ સફાઈ તેમજ નવા મશીનહોલ બનાવવા કે સમ્પ કે નવા પમ્પિંગ સ્ટેશનનાં નિર્માણથી ગત ચોમાસામાં ૧૭ સ્થળોએ પાણી ભરાયાં નહોતાં. તેમ છતાં ૨૩ સ્થળોએ વરસાદી પાણી જમા થયાં હતાં.આ ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો નાગરિકો હેરાન-પરેશાન થયા છે. શહેરના ભાજપના શાસકોએ પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. શાસકો કહે છે કે આ ચોમાસાની સિઝનમાં શહેરના કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં અને કયા વિસ્તારમાં વસાદી પાણી ભરાયા નહોતાં તેવાં તમામ સ્થળોની વિગત તંત્ર પાસે માગી છે. આ સ્થળોની યાદી ટૂંક સમયમાં આવી જશે. ઉપરાંત ગટરલાઇનની ડિસિલ્ટિંગની કામગીરી અંગે પણ તંત્ર પાસેથી માહિતી મંગાવી છે. ખાસ કરીને સીસીટીવી કેમેરાથી થતી કામગીરીની તપાસ હાથ ધરાશે.
ઉસ્માનપુરામાં સૌથી વધુ ૩૭.૪૪ ઇંચ વરસાદ વરસ્યો
ચાલુ ચોમાસાની સિઝનમાં પશ્ચિમ ઝોનના ઉસ્માનપુરા વિસ્તાર પર મેઘરાજાએ અપાર હેત વરસાવ્યું છે. ઉસ્માનપુરામાં શહેરનો સૌથી વધુ ૩૭.૪૪ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ચાંદખેડામાં માત્ર ૧૭.૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે
શાસકો શહેરનો રાઉન્ડ લેવા નીકળ્યા
આ લખાઈ રહ્યું છે ત્યારે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ગીતા પટેલ, ભાસ્કર ભટ્ટ, અરુણસિંહ રાજપૂત એમ પાંચ ટોચના પદાધિકારી તેમજ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાઽ દીપક ત્રિવેદી, હરપાલસિંહ ઝાલા લાંભાની મુલાકાતે છે.