સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકો ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે.
વીરપુર પંથકમાં કોઈ સરકારી અધિકારી પાકનો સર્વે કરવા હજુ સુધી ડોકાયા નથી
અતિવૃષ્ટી બાદ થોડી વરાપ થતા પાક લણ્યો, ત્યાં ફરી વરસાદ પડતા પાક પર પાણી ફરી વળ્યું
મગફળીના પાકને ભારે નુકશાન, સત્વરે સહાયની માંગ
યાત્રાધામ વીરપુરમાં તો ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ, લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયા જેવી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા ફરીથી સારા થવાની આશા બંધાણી હતી, જેમને લઈને ખેડૂતોએ પાક ઉપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી. મગફળીના પાકના પાથરા પોતાના ખેતરમાં કર્યા હતા.
અતિવૃષ્ટી બાદ થોડી વરાપ થતા પાક લણ્યો, ત્યાં ફરી વરસાદ પડતા પાક પર પાણી ફરી વળ્યું
પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ થયા નવરાત્રીના પહેલા તેમજ બીજા દિવસે વીરપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોએ પાક ઊપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમને લઈને મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે.
20-22 મણના ઉતારાના બદલે 3-4 મણના ઉતારા છે
વીરપુર પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી વરાપ નીકળતા મગફળીનો પાક લણવા માટે પોતાના ખેતરોમાં પાથરા કર્યા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ વરસાદને લઈને મગફળીના પાથરા પલળી ગયા હતા. જેમને કારણે મગફળીનો સંપૂર્ણ પાક સડી જઈ નિષ્ફળ જાય તેમ છે. મગફળી વરસાદી પાણીમાં પલળતા પશુઓ માટે નિરણ કે ચારો પણ મેળવી શકાય તેમ નથી. ખેડૂતોને વીઘે 20 મણ જેટલો પાકનો ઉતારો આવવાની આશા હતી પરંતુ હવે તે પાકમાંથી માંડ બે કે ચાર મણ હાથમાં આવે તેમ છે. હજુ વરસાદ શરૂ રહેશે તો કાંઇ હાથમાં નહીં આવે.
વીરપુર પંથકમાં કોઈ સરકારી અધિકારી પાકનો સર્વે કરવા હજુ સુધી ડોકાયા નથી
વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના પાકનો સર્વે અત્યારે રાજકોટ જિલ્લામાં 95% જેટલો થઈ ગયો છે. પરંતુ વીરપુર પંથકમાં કોઈ સરકારી અધિકારીઓ કોઈપણ જાતનો પાકનો સર્વે કરવા હજુ સુધી ડોકાયા નથી. માટે સરકાર સત્વરે ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.