અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે 'મહા' નામના વાવાઝોડાએ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે ગઈકાલ રાતથી જ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની અસરના કારણે અનેક જગ્યાઓએ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો સાથે જ કપાસ, મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું છે. 'મહા' વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં `મહા' વાવાઝોડાની અસર
વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો
રાજ્યમાં વિવિધ જગ્યાઓએ વરસાદ શરૂ
કપાસ અને મગફળીના પાકને મોટું નુકશાન થવાની સંભાવના
અમદાવાદમાં 'મહા' વાવાઝોડાની અસર થઇ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બોડકદેવ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, મણિનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે.
રાજકોટમાં 'મહા' વાવઝોડાની અસર જોવા મળી છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો. જસદણ, જામ કંડોરણ, ધોરાજી, પડધરી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવાઝોડાની અસર નહીવત જોવા મળશે. જેને લઈને તંત્ર એલર્ટ પર છે. રાજકોટના પડધરી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે. 15 જેટલા ગામોમાં 45 મિનિટ ધોધમાર વરસાદ થયો છે. રાજકોટ - જામનગર હાઇવે પર ધોધમાર વરસાદ થયો છે. ખંભાળા, ન્યારા, બાંધી, અડબાલકામાં વરસાદ થયો છે. કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. મગફળીના તૈયાર પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. વીજળીના કડાકા સાથે મઉડી, કાલાવડમાં વરસાદ થયો છે. આ સાથે યાજ્ઞિક રોડ અને 150 ફૂડ રિંગ પર પણ વરસાદ થયો છે. આ વરસાદથી ખેડૂતોને થઈ મોટું નુકસાન શકે છે. માધાપર, શાપર-વેરાવળ, રિબડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે.
મહા વાવાઝોડાના કારણે સુરતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. સુરતમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ઓલપાડ, કોસંબા, કીમ વિસ્તારમાં વરસાદ
થયો છે. આ કમોસમી વરસાદ અને પવનથી ઉભા પાકને નુકસાન થવાની સંભાવના છે.
`મહા' વાવાઝોડાની અસર દીવમાં વર્તાઇ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે આજે બપોરે આ વાવાઝોડું દિવમાં 40 કિમી દુર દરિયામાં સમાઈ જશે તેવી હવામાંન વિભાગે સૂચના આપી છે. તો બીજી બાજુ ખેડૂતો માટે આફતરૂપ બનેલો કમોસમી વરસાદ મોટી નુકશાની કરાવશે.
ખેડૂતોને સતાવી રહી છે પાકની ચિંતા
નવસારી જિલ્લામાં રાતથી વરસાદની સ્થિતિ જોવા મળી છે. સૌથી વધુ વરસાદ જલાપોર તાલુકામાં નોંધાયો છે. જેને પગલે ડાંગર, શેરડી,ચીકુ જેવા પાર્ક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની ભીતિ ધરતીપુત્રો દ્વારા સેવાઈ રહી છે. ચરોતર વિસ્તારમાં મહા વાવાઝોડાની જોવા અસર જોવા મળી રહી છે. યાત્રાધામ ડાકોરમાં વરસાદી માહોલ રહ્યો તો અન્ય તરફ ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ જોવા મળી છે. કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાની સંભાવના રાખવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રના સાગર કિનારા પર "મહા" વાવાઝોડાનો અસર જોવા મળી છે. આથી બોટાદ જિલ્લાનું વાતાવરણમાં પલટાયું છે. મોડી સાંજે અચાનક વાતાવરણ પલ્ટાઇ બોટાદ, રાણપુર સહિત ગઢડામાં ભારે વરસાદ થયો છે. આ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. સાંજે લાલપુર પંથકથી વરસાદે જોત જોતામાં રૌદ્ર રૂપ ધારણ કર્યુ હતું. કાલાવડ અને તેની આસપાસના ગામડાઓમાં મીની વાવાઝોડા સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં મહા' વાવાઝોડાની અસર જોવા મળી છે. અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમજ ધોળા, ઉમરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ઘોઘાબંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલીના કુંકાવાવ - વડિયા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. કુંકાવાવ ગ્રામ્ય પંથકના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. કુંકાવાવથી વડીયા જવાના માર્ગ પર વરસાદ થયો છે.