વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખખડધજ બની છે ત્યારે વડોદરા અને છોટાઉદેપુરમાં પણ બિસ્માર રસ્તાથી પ્રજા પરેશાન થઇ છે તંત્ર સમારકામની તસ્દી લેતુ નથી
વડોદરાના સમતા વિસ્તારમાં તંત્રની ઢીલી કામગીરી
10 દિવસથી પડેલો 20 ફૂટ પહોળો એમને એમ
તંત્ર નથી લઇ રહ્યુ ભૂવો પુરવાની તસ્દી, શહેરીજનો પરેશાન
એક તરફ શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ભૂવા પડતા તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી કરાતી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ભૂવા પુરાય ત્યારે જ આ દાવા સાચા ગણાય. વડોદરામાં ધોધમાર વરસાદને લીધે સમતા વિસ્તારમાં 10 દિવસથી 20 ફૂટનો ભૂવો પડ્યો છે પણ જો તંત્ર તસ્દી લે તો. 10 દિવસથી એમને એમ જ સ્થિતિ છે પણ કોઇ અધિકારીઓ અહીં ડોકિયું કરવા આવતા નથી.
10 દિવસથી થયા પણ ભૂવાનું સમારકામ ન થયું
તંત્ર દ્વારા કામ ચાલુ છે, સાવધાન તેવા પતરા લગાવી દેવામાં આવ્યા છે પરંતુ કોઇ કામગીરી થઇ હોય તેમ દેખાતુ નથી. આટલો મોટો ભૂવો પડ્યો છે પરંતુ તંત્રએ ભૂવાને પુરવાની કામગીરી કરી નથી. દિવસ હોય કે રાત, શહેરીજનો જીવના જોખમે અહીંથી જ પસાર થાય છે. નજીકમાં શાળા છે, કોર્પોરેટરનો પણ રસ્તો છે, 10થી 12 સોસાયટીઓ આવેલી છે. એટલે સમજી શકાય કે આ રસ્તા પર કેટલી અવરજવર હશે. પરંતુ મસમોટા ભૂવાને કારણે લોકો ફરી ફરીને જવા મજબૂર બન્યા છે.
ત્યારે અહીં સવાલ એ થાય છે 20 ફૂટથી વધુ પહોળો અને 15 ફૂટ ઊંડો ભૂવો કેમ દેખાતો નથી. 10 દિવસથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે તેનું શું ? આ ભૂવામાં કોઇ ગરકાવ થશે ત્યારે ભૂવો પુરવા આવશો..? સ્થાનિકો તો એવા કંટાળ્યા છે કે આવી સ્થિતિમાં કરવુ શું ? શાળાએ મૂકવા કે મંદિર જવા 5 મિનિટનો રસ્તો છે પણ ભૂવાને કારણે 20 મિનિટ ફરીને જવુ પડે છે. બધાએ રજૂઆત કરતા માત્ર તંત્રએ પતરા લગાવીને જ સંતોષ માન્યો. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓની ઉંઘ ક્યારે ઉડશે અને ક્યારે આ ભૂવાનું સમારકામ કરાશે તે જોવુ રહ્યું,.
છોટાઉદેપુરમાં ખખડધજ રોડ રસ્તા
આ છોટાઉદેપુરમાં નર્મદા કાંઠે આવેલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા બિસ્માર બન્યા છે. અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. તો બીજી તરફ પહાડના પથ્થરો રસ્તા પર ધસી આવતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તળાવ ગામે રસ્તા પર પહાડના પાણી ઉતરતા રસ્તા ધોવાઇ ગયા છે. છોટાઉદેપુરમાં ઠેક ઠેકાણે આવા ખખડજ રસ્તાને લીધે વાહનચાલકોની કમર ભાંગી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ રોડ કાચા, ડુંગરાળ વિસ્તાર અને તેમાં પણ વરસાદ થતા નાગરિકોએ રસ્તા પર ચાલવુ મુશ્કેલ બન્યુ છે.