રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેંને લઈને ખેતી પાકો લહેરાયા હતા.
અમરેલીના બાબરા તાલુકામાં અનરાધર વરસાદ
બોટાદના ગઢડામાં વરસાદની ધમાકેદાર ઇનિંગ
તાલાલા, સુત્રાપાડાના પ્રાંચી તીર્થમાં ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજ્યમાં આજે અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. છેલ્લા 5 કલાકમાં ભાવનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ગીર સોમનાથ અમરેલી, સહીતના વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જેને લઈને ખેતરો, માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. થોડા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી વહાલ વરસાવતા ખેડૂતોના હૈયા હરખાયા હતા.
ગઢડામાં એક કલાકમાં ધોધમાર બે ઇચ વરસાદ પડ્યો
થોડા સમયના વિરામ બાદ આજે ફરી ભાવનગરના મહુવા પંથકમાં મેઘસવારી આવી પહોંચી હતી. મહુવાના બગદાણા, મોણપર, કોજળી, ખારી, ધરઇમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેંને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહુવા પંથકમાં આશરે 3 ઇંચ જેટલો વરસાદ પડતાં ચારેકોર પાણી પાણી થઇ ગયા હતા.
વધુમાં બોટાદના ગઢડામાં મન મૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઢડામાં એક કલાકમાં ધોધમાર બે ઇચ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લઇને ગઢડામાં આવેલ અક્ષરઘાટ નવા નીરથી છલકાયો હતો. વધુમાં માંડવધાર, હરીપર, કેરાળા, રોજમાળ ગામે વરસાદ પડતાં મુરઝાતી મૌલાતોને નવજીવન મળ્યું હતું.
પ્રાંચી તીર્થનું માધવરાયજી મંદિર 10 ફૂટ પાણીમાં જળમગ્ન થયું
વધુમાં અમરેલીના બાબરા તાલુકામાં પણ આજે અનરાધર વરસાદ પડ્યો હતો. બાબરાના ગ્રામ્ય વિસ્તારને મેઘરાજાએ ફરી ઘમરોળ્યા હતા. જેંને લઇને ફુલઝર ગામે 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. ફુલઝરીયો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ફુલઝર, બળેલ પીપળીયા, કોટડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. તોફાની વરસાદને લઇને સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. આથી પ્રાંચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પાણીના પ્રવાહમાં ડુબી ગયું હતું. આથી ત્રીજી વખતભગવાન માધવરાયજી 10 ફૂટ પાણીમાં જળમગ્ન થયા હતા. તાલાલા, સુત્રાપાડાના પ્રાંચી તીર્થમાંથી થઈ સોમનાથ સાનિધ્યે ત્રિવેણી સંગમ ખાતે પુરી થતી સરસ્વતી નદીમાં મોડીરાત્રીના ઘોડાપુર આવ્યું હતુ.