ગુજરાતમાં આજે વલસાડ, વાપી, ભરૂચ સહિતના શહેરોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વલસાડ, જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
ભરુચમાં સામાન્ય વરસાદથી પાણી ભરાયા
તિથલના દરિયાકિનારે પોલીસ જવાનોને કરાયા તૈનાત
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો. મેઘાડંબર વચ્ચે વાપીમાં વરસાદે સટાસટી બોલાવી હતી જેને લઈને 2 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ ખબક્યો હતો. વધુમાં વલસાડના તિથલનો દરિયો વરસાદી વાતાવરણ વચ્ચે ગાંડોતુંર બન્યો હતો.જેને લઈને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યાં હતા. આ તકે દરિયામાં તોફાનને પગલે કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું હતું. માછીમારો અને મુલાકાતીઓની સલામતીને ધ્યાને લઇને તિથલના દરિયાકિનારે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
ભરુચમાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે ઉઠયા સવાલો
બીજી તરફ ભરુચમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને પગલે સ્ટેશન રોડ, શક્તિનાથ, ઝાડેશ્વર, પાંચ બત્તી વિસ્તારમાં વરસાદી ઝાંપટુ વરસ્યુ હતું. તો ભરૂચમાં થોડા વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખુલી હતી. શહેરના સેવાશ્રમ માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આથી નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોમાં સવાલો ઊભા થયા હતા. પાણી ભરાતા નગરપાલિકાના કર્મીઓને પણ ભીંસ પડતા કામદારો ચાલુ વરસાદે કામ કરતા નજરે પડ્યા હતા.વરસાદ આવ્યા બાદ પાલિકાને કામગીરી યાદ આવી હતી.
4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા
આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરીયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ
અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10 થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.