ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર અનેક શહેરોમાં વરસાદનું જોર વધ્યું છે. આજે અમદાવાદ, વડોદરા, અરવલ્લી સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા પણ 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઇ છે.
અરવલ્લી, વડોદરામાં ધોધમાર વરસાદ થયો
મગફળી, કપાસના પાકમાં નુકસાનીની ભીતિ
રાજ્યના ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ચોમાસાની ઋતુ પૂર્ણતાના આરે છે. તેવામાં રાજ્યમાં વધુ એક વખત વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે આજે સાંજના સમયગાળા દરમિયાન વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે તોફાની વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને શહેરના માર્કેટ, માંડવી, નવાપુરા, દાડિયા બજાર, રાવપુરા, અલકાપુરીમાં પાણી.. પાણી..ના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ
હવામાન વિભાગની આગાહીને લઈને હાલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. પૂર્વના નિકોલ, ઓઢવ, વિરાટનગર, નરોડા, મેમ્કો, કઠવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વધુમાં અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોલવાણી,ખૂમાપુર,માકરોડામાં વરસાદનું ફરી આગમન થયું હતું. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ભારે ઉકળાટ ફેલાયો હતો અને સમી સાંજે વરસાદ શરુ થયો હતો.પંચમહાલ જિલ્લાના વાતાવરણ પલટો સાથે ગોધરા, કાલોલ, શેહરા, હાલોલના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો મુંજાયા હતા. કમોસમી વરસાદને કારણે મકાઈના પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. તો ડાંગરના પાકને સામાન્ય વરસાદથી ફાયદો થાય તેવી પણ આશા રહેલી છે. ત્યારે વરસાદને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવો માહોલ છવાયો છે.
સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો
વધુમાં બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી છાંટા પડ્યા હતા. બીજી બાજુ આજે સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. જો વધુ વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા નવી આગાહી
હવામાન વિભાગે એકવાર ફરી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પરથી ચોમાસાએ વિદાઈ લીધી છે. પરંતુ અન્ય રાજ્યમાં મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદી અસર જોવા મળશે. જેથી રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી વરસાદની વકી સર્જાઇ રહી છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદ તો સુરેન્દ્રનગર, ભરૂચમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતના વાતાવરણ પર અસર પડી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.