શહેર સહિત રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. આજે સવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગ દ્વારા શહેરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.
દક્ષિણ ગુજરાતના વડોદરા અને સુરતમાં પણ માવઠાંની શક્યતા
સામાન્ય રીતે મહાશિવરાત્રિ બાદ ઠંડી વિદાય લેતી હોય છે. આ વખતે શિવરાત્રિ બાદ બે ચાર દિવસ સવારે અને સાંજે ઠંડા પવન ફુંકાયા હતા. પરંતુ પરંપરાગત ઠંડીએ વિદાય લઇને વાતાવરણમાં ગરમી ફેલાવી હતી. જેનાથી છેલ્લા પાંચ-છ દિવસથી ઘર-ઓફિસના પંખા અને એસી ચાલુ થઇ ગયાં હતાં અને ગૃહિણીઓએ સ્વેટર સહિતનાં ગરમ વસ્ત્રો, ધાબળા વગેરે અભરાઇએ ચડાવી દીધા હતા.
ચોમાસાની સવાર જેવું લોકોએ અનુભવ્યું
જોકે ગઇ કાલ બપોર બાદ શહેરીજનોએ ભારે ગરમીના બદલે વાદળછાયું વાતાવરણ સર્જાતા આંશિક રાહત અનુભવી હતી. સાંજે પણ વાદળાંઓ જોવા મળ્યાં હતાં. આજે સવારે શહેરનાં વાદળછાયા વાતાવરણમાં લેશમાત્ર પલટો આવ્યો ન હતો. ચોમાસાની સવાર જેવું લોકોએ અનુભવ્યું હતું. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગ કચેરીએ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સથી અમદાવાદમાં સાંજ સુધીમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતના વડોદરા અને સુરતમાં પણ માવઠાંની શક્યતા
બીજી તરફ રાજ્યના દક્ષિણ ગુજરાતના વડોદરા અને સુરતમાં પણ માવઠાંની શક્યતા છે. જોકે ફરી એકવાર માવઠું થાય તેવી સંભાવનાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. કેમ કે, માવઠાંથી ખેતરમાં લહેરાતા રવીપાકને ભારે નુકસાન થવાની શક્યતા છે.