દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બોલાવી હતી. વલસાડના કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. રસ્તાઓ જળબંબાકાર થતા લોકો હેરાન પરેશાન થયા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ કહેર મચાવી દીધો હતો. ઉમરગામનો રોહિતવાસ પાણીમાં ગરકાવ થયો હતો.
ભારે વરસાદના પગલે રોહિતવાસમાં NDRFની ટીમને બોલાવી પડી હતી. મકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. ધસમસતા પ્રવાહમાં યુવક ફસાઈ ગયો હતો. પાલિકાનો પ્રિમોન્સૂનનો પ્લાન ફલોપ થતાં ગટરોના પાણી મકાનોમાં ઘુસ્યા હતા. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
ભારે વરસાદના પગલે ટાઉનના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. અને પાણીમાં ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવાયા હતા. તંત્ર દ્વારા કેટલાક પરિવારોને આવી સ્થિતિમાં સ્થળાંતર કરવાની મનાઈ કરવામાં આવી હતી.
જ્યારે કેટલાક લોકોને સ્થળાંતર માટે સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.