રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા નાળા પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે આખું નાળું પાણીમાં ગરકાવ થઇ ગયું છે. તો રસ્તો પણ ધોવાઇ ગયો છે. ત્યારે થોડા વરસાદમાં જ નાળામાં પાણી ભરાઇ જતા સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ ગત રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગરમાં પાણી ભરાયા છે. તો લક્ષ્મીનગરનુ નાળુ પાણીમાં ગરકાવ થયુ છે. ભારે વરસાદ થતા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
શહેરમાં થોડા વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું અધિકારીઓએ નાળા બનાવતી વખતે કોઇ ધ્યાન ન હતું રાખ્યું? આટલા વરસાદમાં જ કેમ નાળા ઓવરફ્લો થઇ ગયા? શું પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી કરાઇ? અને રોડની હાલત પણ ખસ્તા થઇ ગઇ છે તો શું રોડ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે?
સવાલ તો એ પણ છે કે, ઉપરી અધિકારીઓ કોઇ દિવસ રોડ અને નાળના કામનું નિરીક્ષણ કરે છે કે નહીં? ત્યારે આવા અધિકારીઓ એ પણ સમજી લે કે, જનતાના પૈસા તમારા ખિસ્સા ભરવા માટે નથી. રાજ્યના અને દેશના વિકાસ માટે છે.