વાદળ ભલે ઘેરાયાં, વરસાદ હજૂ દૂર છે: ગરમીથી રાહત અલ્પજીવી હશે, આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેવાની આગાહી
રાજકોટમાં વરસાદની સાથે જ વૃક્ષો પડવાનો સીલસીલો શરૂ
રાજકોટ મનપા વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી
અડધો ઈંચ વરસાદ વચ્ચે શહેરોમાં અનેક જગ્યાએ ભરાયા પાણી
પ્રિમોન્સૂન કામગીરીને લઈ તંત્ર કરી ચૂક્યુ છે અલગ અલગ 3 બેઠક
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી. લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળતાં લોકોને હાશકારો થયો છે, પરંતુ ભેજવાળાં વાતાવરણને કારણે લોકો પરસેવે નહાઈ રહ્યા છે. ૨૫મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હતી. પરંતુ રાજ્યનાં વાતાવરણમાં આવેલા બદલાવ મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન છે કે ગુજરાતમાં હાલમાં વરસાદની કોઈ આગાહી નથી. વાદળછાયું વાતાવરણ સર્જાતાં લોકોને અપેક્ષા હતી કે વરસાદ આવશે તો ગરમીમાં રાહત થશે, પરંતુ રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જેનાં કારણે આગામી સમયમાં હજુ ફરી એકવાર ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
રાજકોટમાં અડધો ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રંગીલા શહેર રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટના કુવાડવા રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં રાજકોટ વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે.
તાપી, નવસારી, દાહોદમાં વરસાદી માહોલ
રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપી, નવસારી અને દાહોદમાં વરસાદી માહોલ સર્જાયો છે.તાપી જિલ્લાના ડોલવણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન પણ ફૂંકાયો હતો.તો નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું.વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.તો દાહોદના ધાનપુર અને દેવગઢ બારીયામાં વરસાદી માહોલ સર્જાયો હતો.ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતુ.
શું છે હવામાન વિભાગની આગાહી?
જો કે આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેતાં ગરમીથી રાહત મળશે. રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પવનની ગતિ ૧૦થી ૧૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં, પરંતુ પાંચ દિવસ બાદ રાજ્યનાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણ ભેજવાળું છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં ભેજ નથી. હાલમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત્ છે.
ગુજરાતમાં કયારે આવશે ચોમાસું?
જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. દેશમાં નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત્ રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. કેરળમાં ૨૬મી મેના રોજ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે, તે પછી ૧૫થી ૨૦ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.