રાજકોટ સહિત ગુજરાતના કેટલાક સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આસો માસમાં પણ અષાઢી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે આભમાંથી ખેડૂતો પર આશીર્વાદ નહીં પરંતુ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો પણ કહી રહ્યા છે મેઘરાજા હવે તો ખમૈયા કરો.
આસોમાં જોવા મળી રહ્યો છે અષાઢી માહોલ
આભમાંથી આશીર્વાદની જગ્યાએ વરસી રહી છે આફત
જગતનો તાત કહી રહ્યો છે મેઘરાજા હવે તો કરો ખમૈયા
રવિવારના રોજ રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી હતી. જેના કારણે કપાસ, મગફળી અને મરચાના પાકને પુષ્કળ નુકશાન થવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 21મીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. ત્યારે ખેડૂતોએ પોતાની વાડીમાં મગફળીના પાલા પાથરીને રાખ્યા હતાં. ત્યારે ધોધમાર વરસાદ વરસવાના કારણે પાથરેલા પાલા વરસાદી પાણીમાં વહી ગયા છે. તો મોટાભાગની મગફળીમાં ભેજ આવી ગયો છે.
સરકાર મગફળીની ખરીદીના નિયમોમાં ફેરફાર કરે તેવી ખેડૂતોની માંગ
ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જે નીતિ નિયમો બનાવ્યા છે તેની અંદર છૂટછાટ આપે. તો સાથે જ ટેકાનો ભાવ જે 1055 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેમાં પણ વધારો કરવામાં આવે. જેથી કરીને ખેડૂતોને થયેલા નુકશાનનું તેને વળતર મળી શકે.
તો બીજી તરફ સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે પરંતુ પશુઓ માટેનો જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો. તે પણ પલળી જતા હવે મૂંગા ઢોરને શું ખવડાવવું તે મોટો પ્રશ્ન સામે આવ્યો છે.
મગફળી સહિત કપાસ અને મરચાના પાકને પણ મોટું નુકસાન
મગફળી જેવા જ કપાસ અને મરચા સહિતના કેટલાક પાકના હાલ જોવા મળી રહ્યા છે. સતત વરસાદ વરસવાના કારણે ચાલુ વર્ષે કપાસના પાકને પણ સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે. ગોંડલ તાલુકામાં મરચાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના કારણે મરચાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આમ ખેડૂતોને માથે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા પણ રહેલી છે.