રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ
અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા
તમાકુ, દિવેલા, ચણાના પાકને નુકસાનની ચિંતા
રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતવારણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. જેના કારાણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો
આજ સવારથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ મિશ્ર વાતાવરણના કારણે રોગચાળોએ પણ માથું ઉચક્યું છે.
અરવલ્લીના વાતાવરણમાં પલટો
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. માલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાંની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોમાં મકાઈ, બાજરી સહિતનાં પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદ પડે તો મોટાભાગે શાકભાજીને નુકસાન પહોંચશે. આ ઉપરાંત ઘઉં, એરંડા, વરિયાળી જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. વરસાદી છાંટા પડવાથી પાકના પાંદડા બગડી જાય અને ખરી પડે તો છોડનો વિકાસ અટકી જાય અને ભારે નુકસાન થાય.
સાબરકાંઠાના ખેડૂતોમાં ચિંતા
સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ પલટાને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને કમોસમી વરસાદથી તમાકુ, દિવેલા, ચણાના પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે. તો તરબૂચ, સક્કરટેટી, શાકભાજીને પણ નુકસાન થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.
રાજકોટમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસાદ પડ્યો છે. વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. આજે ગોંડલ, લોધીકા અને કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ શકે છે. વરસાદથી ઘઉં, લસણ, મકાઈ, કપાસ, બાજરી સહિત ઘાસચારાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.