ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં હવે મેઘમહેર મેઘકહેર તરફ વળી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 120% વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ગયાં છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 120% વરસાદ નોંધાયો
94 તાલુકાઓમાં 40 ઈંચ વરસાદ
રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં 103 ડેમ 100% કરતા વધુ ભરાયા છે. આ વખતે જો સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં 162.64ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર મૂકાયા છે. જેમાં 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે.
10 ઈંચથી ઓછો વરસાદ એક પણ જિલ્લામાં નહીં
133 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવો એક પણ જિલ્લો નથી.
5000 લોકોનું સ્થળાંતરણ કરાયું
નર્મદા નદીની વધતી જતી જળ સપાટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે સ્ટેટ ડિઝાસ્ટરની બેઠક યોજાઇ છે. નર્મદા નદીની વધતી જતી સપાટીને લઇ કાંઠા વિસ્તારના ગામોની સલામતી મુદ્દે બેઠક યજાઇ. જેમાં મુખ્ય સચિવ, મહેસુલ અગ્ર સચિવ, મેરિટાઇમ બોર્ડના એમડી, વન વિભાગના અગ્ર સચિવ અને NDRFના અધિકારીઓ હાજર રહ્યા.
બેઠક બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઇ છે. અને NDRF દ્વારા રેસ્ક્યૂની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં 120 ટકા વરસાદ નોંધાયો છે. અને આજથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
50 લાખ હેક્ટરથી વધુનો પાક ફેલ
ચોમાસાને ધ્યાનમાં રાખએ તો અત્યારે વરસાદની લા-નીનો પેટર્ન જોવા મળી રહી છે જેને પગલે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આ વખતે પણ ખેતીમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 50 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
20.38 લાખ હેક્ટરમાં મગફળીનો પાક ફેલ ગયો છે જ્યારે 22.16 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક બળી ગયો છે. આ સિવાય તલ, સોયાબીન સહિતના તેલિબિયાના પાકોને નુકસાન થયું છે જ્યારે ઉભી મકાઈ અને બાજરી પણ બળી ગઈ છે. એ સિવાય કઠોળના પાકને પણ લીલો દુકાળ ભરખી ગયો છે. 5 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક હતો જેમાં પણ સતત પાણી મૂળિયા કવાઈ ગયા છે.
ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે: નીતિન પટેલ
ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે.
મેઘતાંડવથી આજે 3ના મોત
છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવમાં 3 લોકોએ પોતાના જીવ ખોયા છે. વરસાદી પાણીમાં તણઈ જવાથી આ લોકોના મોત થયા છે. જેમાંથી ગીર સોમનાથ જિલ્લામાં 2 અને કચ્છમાં 1ના મૃત્યુ થયુ છે. અત્યાર સુધી પાણીમાં ડુબી જવાથી રાજ્યમાં 16ના મૃત્યુ થયા છે.
બોટાદ જિલ્લામાં મૂશળધાર વરસાદે ગ્રામ્ય પંથકમાં તારાજી સર્જી છે. એક બાજુ ખેતરો બેટમાં ફેરવાઇ જતાં પાકને વ્યાપર નુકસાન થયું છે તો બીજી તરફ ગઢડા તાલુકાનું રામપરા ગામનો મુખ્ય પણ પાણીમાં ગરકાવ થઇ જતાં પુલ તરફથી જોવાનો રસ્તો બ્લોક થઇ ગયો છે. જેના કારણે રામપરા ગામ સંપર્ક વિહોણું થઇ ગયું છે. બોટાદના ઈટરીયા ડેમ, લીંબાળી ડેમ, સોમલપર ડેમ ઓવરફ્લો થતાં બોટાદ જિલ્લાની નદીઓ ગાંડીતૂર થઇ છે અને નદીઓના નીર ગામડામાં ઘૂસી જતાં ગ્રામ્યજનોનું જનજીવન પ્રભાવિત થયું છે.
ઉપલેટામાં ઉબેણ નદીનું તાંડવ
ઉપલેટાની ઉબેણ નદી ગાંડીતૂર બની છે. ઉબેણ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ઉબેણ નદીમાં પૂર આવ્યું છે. નદીનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે. નદીમાં પૂરથી ખેતરો પણ ધોવાયા છે. મગફળી, કપાસ, તલ, એરંડા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તો ખેતરમાં રાખેલા પાણી ખેંચવાના મશીન પણ ડૂબી ગયા છે. વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરેલા છે.
સાબરકાંઠા 40 જેટલા ગામડાઓમાં એલર્ટ
અવરિત વરસાદના પગલે સાબરકાંઠાનો વધુ એક ડેમ થયો ઓવરફ્લો થયો છે. સાબરકાંઠાનો હાથમતી ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 40 જેટલા ગામડાઓને પહેલેથી એલર્ટ કરાયા છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતાં ડેમમાં નદીની જળસપાટી સતત વધી રહી છે.
તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક
તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકથી ડેમના 7 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણીનું લેવલ જાળવી રાખવા તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં 1 લાખ 46 હજાર 488 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે ડેમમાંથી 98 હજાર 911 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 335.53 ફૂટ પર છે.
ગીર સોમનાથ જિલ્લાના અસંખ્ય ગામ પાણીમાં ગરકાવ
ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ બાદ 20થી વધુ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગીર-સોમનાથની મુખ્ય હિરણ, સરસ્વતી અને કપિલા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનેક ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેતરોમાં 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ખેતીને નુકસાન થયું છે. બીજી તરફ સોમનાથ કોડીનાર હાઈ-વે પણ પાણી ભરાઈ જતા બંધ થઈ ગયો છે. જેના કારણે વાહન ચાલકો અટવાયા છે.
200 વર્ષ જૂનું મહાદેવનું મંદિર તૂટી પડ્યું
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદીમાં પૂરના કારણે ગરુડેશ્વર ગામે કોટેશ્વર મહાદેવ, દત્ત કુટીર સહિત અનેક મકાનોનું ધોવાણ થયું છે. 200 વર્ષ જુનું મહાદેવનું મંદિર તૂટી પડ્યું છે. નર્મદા નદીમાં પૂરના કારણે કેવડિયા ગરુડેશ્વર સંપર્ક વિહોમા બન્યા છે. તો અંકલેશ્વર બ્રિજના પિલરનું પણ ધોવાણ થયું છે. જેને કારણે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી દેવાયો છે
મોજ નદી પરનો કોઝવે એક મહિનાથી પાણીમાં ગરકાવ
રાજકોટના જેતપુરમાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. મોજ ડેમના 24 દરવાજાને 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.. ડેમમાંથી પાણી છોડતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને મોજ નદી પરનો કોઝ-વે એક મહિનાથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે ગઢાળા ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે.
મહીસાગર નદી કિનારે વસતા લોકોનુ સ્થળાંતર કરાયું
પંચમહાલના કડાણા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઇ ગચા છે. મહીસાગર નદી નજીક રહેતા 50 લોકોનું સ્થળાંતર કરાયું છે. શહેરાના જુના બીલીથા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહીવટી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવાની સૂચનાઓ અપાઈ છે.
ભાવનગર-અમદાવાદ પર પાણી ફરી વળ્યા
રાજ્યમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે ભાવનગર-અમદાવાદ પર પાણી ફરી વળ્યા છે. કાલુભાર અને ઘેલો નદીના પાણી હાઇવે સુધી પહોંચી ગયા છે. ધોલેરા સુધીના રસ્તા પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ પાણીના નીકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અરવલ્લીની ઇન્દ્રસી નદીમાં ખેડૂત દંપત્તિ તણાયા
અરવલ્લીમાં પણ ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે અરવલ્લીના ભીલોડાના લીલછા પાસે ઈન્દ્રસી નદીમાં પૂર આવ્યું હતું.. આ દરમિયાન નદી પર બનેલા બ્રિજ પરથી પસાર થતા બાઈક ચાલક દંપતી નદીના પ્રવાહમાં તણાયું હતું.. કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તે સમયે બાઈક ચાલકે નદી ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી નદીના પ્રવાહમાં દંપતી તણાઈ ગયું હતું. જોકે સ્થાનિક લોકોએ અને ખેડૂતોએ દંપતીને બચાવી લીધું હતું. ત્યાર બાદ બાઈક પણ નદીમાંથી બહાર કાઢ્યું હતું.