રાજ્યના 8 જિલ્લામાં મેઘતાંડવને લઈને જે-તે જિલ્લાના પ્રભારીઓને જિલ્લાની જવાબદારી સોંપાયા બાદ મંત્રીઓએ દોડી જઈ સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓને સોંપાઇ જવાબદારી
પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લામાં વરસાદની સ્થિતિ પર નજર
અમદાવાદના તમામ અંડરપાસ શરૂ કરી દેવામાં આવ્યા : ઋષિકેશ પટેલ
ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ અંગે પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લા મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે મંત્રીઓ તાબડતોબ જે તે જિલ્લામાં દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર સાથે મિટિંગ કરી હતી ત્યારબાદ પ્રભારી જિલ્લા મંત્રીઓના નિવેદનો સામે આવી રહ્યા છે.
છોટા ઉદેપુરમાં 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લામાં 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં 257 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આવ્યું હોવાનું હતું. વધુમાં વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં હોવાનું પણ નિમિષાબેન સુથારે જણાવ્યુ હતું. ઉપરાંત વહીવટી તંત્ર, NDRF, SDRFની ટીમ કાબિલેદાદ કામગીરી કરી હતી. તકે 22 કરોડના ખર્ચે બનેલ ચેકડેમ તૂટવા મામલે નિમિષાબેનને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે નબળી કામગીરી મામલે તપાસ કરાવી કશૂરવારો સામે પગલાં ભરવામાં આવશે અને ચેક ડેમ વહેલીતકે બને તેવા પ્રયાસો કરવામાં આવશે. જરૂર જણાએ કોન્ટ્રાકટરને પણ નોટિસ આપવામાં આવશે તેમ અંતમાં નિમિષાબેન સુથારએ જણાવ્યુ હતું.
જરૂર જણાયે નવી ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરાશે : ઋષિકેશ પટેલ
આ ઉપરાંત પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદની મુલાકાતે દોડી આવ્યા હતા. જયા ઋષિકેશ પટેલે VTV સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, પૂર સામે પહોચી વળવા તંત્ર દ્વારા આગવી તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ એક સાથે અનરાધાર વરસાદ ત્રાટકતા આવી સ્થિતિ ઉભી થઇ હોવાની ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. આજે બપોર સુધી તમામ રસ્તાઓ પરથી પાણી ઉતરી ગયું હતું. જેથી તમામ અંડરપાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. 21 જગ્યાઓ પર બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સતત સંપર્કમાં હોવાનું પ્રભારી મંત્રીએ ઉમેર્યું હતું આગામી સમયમાં જરૂર જણાયે નવી ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની પણ ખાતરી આપી હતી. વધુમાં લોકોએ સોસાયટીઓમાં પોતાને ત્યાં જ પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.
રાજકોટ જિલ્લાના 6 ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં : જીતુ વાઘાણી
રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે દોડી જઈ સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી હતી. વરસાદને લઈને રાજકોટમાં આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ તકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, કોઈપણ જગ્યાઓ મુશ્કેલીઓ ન સર્જાઈ તે માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. નદી અને મોટા ડેમની આજુબાજુ ન જવા લોકોને સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 6 ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતું. 18 વોર્ડમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામા આવી છે અને પોલીસ અધિકારીઓ પણ સતત ખડેપગે હોવાનું અને પોલીસ સ્ટેશનમાં તરવૈયાઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.