ગુજરાતમાં મેઘરાજાનાં તાંડવનાં કારણે સૌરાષ્ટ્રનાં હાલ બેહાલ થયા છે, લોધિકા તાલુકામાં 21 ઈંચ વરસાદ બાદ પરિસ્થિતિ વિકટ બની છે.
લોધીકામાં 21 ઇંચ જેટલો વરસાદ પડ્યો
રાજકોટમાં ભારે વરસાદ બાદ નુકસાનને લઇ હાથ ધરાશે સર્વે
આગામી 2 દિવસ રાજકોટ જિલ્લામાં રેડ અલર્ટ
રાજકોટમાં વરસાદે મચાવી છે તબાહી
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વચ્ચે રાજકોટમાં બારે મેઘ ખાંગાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજકોટ ગ્રામ્યની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોધિકામાં વિક્રમજનક 21 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સટાસટ પડી રહેલા વરસાદમાં લોકોનાં વાહનો તણાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે.
આગામી 2 દિવસ રાજકોટ જિલ્લામાં રેડ અલર્ટ
રાજકોટનાં લોધિકામાં જ વરસાદનાં કારણે સૌથી વધારે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે જિલ્લાનું તંત્ર અલર્ટ મોડ પર છે. આગામી બે દિવસ માટે આકહ રાજકોટમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરની ટીમ લોધિકા આવી પહોંચી છે. લોધિકામાં પાક નુકસાનને લઈને સર્વે હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે રાજકોટમાં 33 પૈકી 20 જ રસ્તાઓ અત્યારે કાર્યરત થઈ શક્યા છે. લોધિકામાં લોધિકડી ડેમનો કોઝવે તૂટી પડતાં ભારે તારાજી જોવા મળી છે, આસપાસનાં ખેતરોમાં પાણી ઘુસી ગયા છે જ્યારે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
PGVCLને ફરી ફટકો
સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ PGVCLને ફરી ફટકો
સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘતાંડવનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ PGVCLને ફરી જોરદાર ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડા દરમિયાન વીજળીનાં કેટલાય પોલ પડી ભાંગ્યા હતા જે બાદ જામનગર સહિતનાં જિલ્લાઓમાં ઘણા દિવસ સુધી વીજ વ્યવવહાર ખોરવાયો હતો. હજારો વીજ પોલ ફરીથી ઊભા કરવા માટે સરકાર દ્વારા મોટા પાયે કામ કરવામાં આવ્યું હતું ત્યારે હવે પૂરનાં કારણે સૌરાષ્ટ્રમાં 545 વીજપોલ જમીનદોસ્ત થયા છે. રાજકોટના 23 અને જામનગરના 85 ગામ સહિત 145 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં આજે ઓરેન્જ અલર્ટ
સૌરાષ્ટ્રનાં રાજકોટ, જુનાગઢ, જામનગરમાં સ્થાનિકોનાં હાલ બેહાલ છે અને કેટલાય ગામોમાં સંપર્ક થઈ રહ્યો નથી ત્યારે સૌરાષ્ટ્રનાં સાત જિલ્લાઓમાં આજના દિવસ માટે ભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રામનાથ મહાદેવના પરિસરમાં ઘૂસ્યા પાણી
રાજકોટ શહેર અને જિલ્લામાં સોમવાર ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે રાજકોટ શહેરમાં સોમવારના રોજ 13 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જ્યારે કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 21 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી હતી. આજી નદીમાં પૂર આવવાના કારણે થોડા વિસ્તાર નો જુનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તો સાથે જ આજી નદી દ્વારા રામનાથ મહાદેવનો જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આજી નદીમાં પૂર આવવાના કારણે રામનાથ મહાદેવ મંદિર પટાંગણ સહિતના વિસ્તારોમાં ગાંડીવેલ સહિતની વનસ્પતિઓ તણાઈ ને આવી હતી. તો સાથેજ મોટા પ્રમાણમાં કચરો પણ આવ્યો હતો. જેથી મેયર પ્રદીપ ડવ સહિતના અધિકારીઓએ રામનાથ મહાદેવ સહિતના વિસ્તારોની મુલાકાત લઇ જેસીબી દ્વારા તાત્કાલીક અસરથી કચરો દૂર કરવાની સૂચના આપી હતી.
ગુજરાતમાં ભારે તબાહી
ગુજરાતમાં આખો શ્રાવણ મહિનો કોરોધાકોર ગયો હતો જે બાદ ખેડૂતો અને સરકાર ટેન્શનમાં મૂકાઈ ગઈ હતી કે રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે ત્યારે આ તબાહીનાં દ્રશ્યોની વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ આજના દિવસ માટે પણ ઓરેન્જ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.