ભારે વરસાદને લીધે બનાસકાંઠાનું દામા ગામ જળમગ્ન બન્યું હતું. જેના બે દિવસ બાદ પણ ગામમાં તંત્ર મદદે ન પહોંચ્યું હોવાનું VTV ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યું છે.
બનાસકાંઠાના દામા ગામે VTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
દામા ગામમાં હજુ નથી ઓસર્યા પાણી
લાલુસર તળાવ તૂટતાં દામા ગામ બેટમાં ફેરવાયુ હતું
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાનું લાલુસર તળાવ તૂટતાં દામા ગામ બેટમાં ફેરવાયુ હતું. ગામમાં ઘૂસેલા તળાવના પાણી લોકોના ઘરમાં ફરી વળતાં લોકોને મોટું નુકસાન થયું હતું. ઘર વખરી અને અનાજ સહીતનો સામાન પલટી જતા આભ ફાટ્યું હોય ત્યાં થિગળુ કયા મારવું તેવી સ્થિતિ જન્મી હતી. આવી હાલતમાં બનાસકાંઠાના દામા ગામે VTV ન્યૂઝ પહોંચ્યું હતું
વરસાદ આવ્યાના બે દિવસ બાદ પણ ગામમાં નથી પહોંચ્યું વહીવટી તંત્ર
VTV ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કરુણતા એ છે કે હજુ પણ ગામમાં ઢીંચણ સમા પાણી ભરાયેલા છે અને વરસાદણને લીધે થયેલી ખાના ખરાબીના બે દિવસ બાદ પણ વહીવટી તંત્રના અધિકારીઑ રાહતના નામે ગામમાં ડોકાયા નથી. આથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં લાલુસર તળાવના પાણીએ સર્જેલી આફતમાં ગામના લોકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહી પાણી ભરાતા દામાથી વરણ ગામને જોડતો માર્ગ પણ જોખમી બન્યો છે.
સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યુ
વધૂમાં વરસાદી આફતમાં થરાદ ડીસા હાઇવેના લાખણી કાંકરેજ સહિત અન્ય તાલુકાઓના ખેતરો જળબંબાકાર બની જતાં ખેતરોમાં વસવાટ કરતા પરિવારોના રહેણાંકમાં પાણી ઘુસી ગયા હતાં. જેથી આવા પરિવારોના માથે જાણે આફત આવી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ સાબરકાંઠામાં પણ મેઘરાજાએ રીતસરનો કહેર વર્તવ્યો હતો. જેને લીધે સાબરમતી નદીનું પાણી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસ્યુ હતું. નવા નીરની આવક થતાં ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાયા હતા. જેને લીધે નદીમાં પૂર આવ્યું હતું અને પૂર આવવા પાણી મંદિરમાં ઘૂસ્યુ હતું.