બુધવારે સાંજના પ થી ૮ વાગ્યા સુધીના સમયગાળામાં જોરદાર વરસાદી ઝાપટાં પડીને શહેરમાં સરેરાશ અઢી થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વડોદરાની જેમ આભ ફાટી પડ્યું ન હતું, તેમ છતાં આટલા વરસાદે હજારો અમદાવાદીઓને બાનમાં લીધા હતા.
નોકરી-ધંધાના સમય બાદ ઘેર જતા મહિલાઓ સહિતના નાગરિકો ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા હતા. ઠેર ઠેર રસ્તા પર ફરી રકાબી આકારના ખાડા પડતાં વાહનચાલકો તોબા પોકારી ગયા હતા. પ્રી-મોન્સૂન પ્લાન, ડિસિલ્ટિંગ તેમજ રસ્તાનાં કામ પાછળ અત્યાર સુધીમાં અબજો રૂપિયા મ્યુનિ. તિજોરીમાંથી ખર્ચાયા હોવા છતાં હાલતમાં થોડો પણ સુધારો થયો નથી.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાની લાલ આંખ હોવા છતાં નઘરોળ તંત્રે પ્રી-મોન્સૂન પ્લાનને ગંભીરતાથી લીધો ન હતો તેનો બોલતો પુરાવો ગઇ કાલે જોવા મળ્યો હતો. અડધું અમદાવાદ જળબંબાકાર થયું હતું. વેજલપુર, પાલડી, હાટકેશ્વર વગેરે વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યાં હતાં તેમ છતાં સમ ખાવા પૂરતો તંત્રનો એક પણ કર્મચારી કે અધિકારી કેચપીટ કે મેનહોલનાં ઢાંકણાં ખોલીને વરસાદી પાણીનો નિકાલ કરતો નજરે પડ્યો ન હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રના ભારે ભ્રષ્ટાચારથી પ્રી-મોન્સૂન પ્લાન પાછળ ખર્ચાયેલા રૂ.૧૦ કરોડથી વધુ રકમ ગટરનાં પાણી સાથે વહી ગઇ છે. બીજી તરફ કરોડોના ખર્ચે શહેરમાં ડિસિલ્ટિંગનાં કામ થાય છે, પરંતુ ભાજપના ટોચના હોદ્દેદારોનાં અંગત સગાં-સંબંધી જે તે કામ સાથે સંકળાયેલાં હોઇ એક યા બીજા પ્રકારનાં કૌભાંડ અટકતાં નથી. અનેક કોન્ટ્રાક્ટરને સીસીટીવી સહિતનાં કોઇ સાધન ન હોવા છતાં તંત્ર સાથેની મિલીભગતથી લાખો રૂપિયાના કોન્ટ્રાકટ બારોબાર મળી જાય છે અને તેનું પેમેન્ટ પણ ચૂકવાઇ જાય છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં રર હજારથી વધુ ખાળકૂવા છે. તંત્ર પાસે ખાળકૂવા નાબૂદ કરવાની કોઇ યોજના નથી. બીજી તરફ આજે પણ ર૦ ટકા વિસ્તારમાં ડ્રેનેજનું નેટવર્ક નથી. શહેરમાં ર૬૦૦ કિ.મી.ના રસ્તા છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર લાઇન ફક્ત ૯પ૦ કિ.મી.ની છે, જોકે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો તેનો તત્કાળ નિકાલ થઇ જશે તેવો દાવો કરનાર તંત્રની યાદીમાં જ રપ૦૦થી વધુ સ્થળો એવાં છે કે જ્યાં એક ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ જાય છે. પરિણામે અસારવાના ચમનપુરા વિસ્તારમાં હોડી ઉતારવાની નોબત પણ આવી જાય છે.
રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રિવરફ્રન્ટના કારણે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી છે, કેમ કે હવે વાસણા બેરેજની સપાટી પર ખાસ ધ્યાન રાખવું પડે છે. બીજી તરફ તંત્રના ભારે ભ્રષ્ટાચારથી શહેરના રસ્તા પર ફરીથી રકાબી આકારના ખાડા પડવા લાગ્યા છે. તાજેતરમાં કરોડોના ખર્ચે બનાવાયેલો ઇન્કમટેકસબ્રિજ પણ ભ્રષ્ટાચારના કારણે ખાડાગ્રસ્ત બન્યો છે.
વરસાદી પાણીની આફતમાં ઘેરાયેલા હજારો અમદાવાદીઓ રસ્તા તૂટવાના કારણે પણ ગઇ કાલે ભારે હાલાકીમાં મુકાયા હતા. દરમિયાન શહેરમાં ગઇ કાલે રાત્રે વરસાદે વિરામ લેતાં અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો હતો. આજે સવારના પણ છ થી દસ વાગ્યા વચ્ચે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.
તેમ છતાં તંત્ર દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન સહિત શહેરનાં ૧૯ સ્થળોએથી વરસાદી પાણી ઉલેચવા પંપ મુકાયા હતા. આ લખાય છે ત્યારે બોડકદેવના મહિલા ગાર્ડન, મેમ્કોના નંદલાલ માધવ હોલ, કૃષ્ણનગર ચાર રસ્તા, રામોલમાં મુખીની રેસિડન્સી, ખાનવાડી, રાજીવનગર, મણિનગરમાં ન્યૂ મણિનગર અને બહેરામપુરામાં જીતુ ભગતની ચાલી સહિતનાં ૧૦ સ્થળોએ વરસાદી પાણી ઉલેચાઇ રહ્યાં છે, જ્યારે વધુ ૧૬ વૃક્ષ ધરાશાયી થતાં ચાલુ સિઝનમાં ર૦૭ વૃક્ષ જમીનદોસ્ત થયાં હતાં. આ ઉપરાંત વેજલપુરની કેમ્બે હોટલ પાસે રોડ બેસી જવાની ફરિયાદ તંત્રના ચોપડે નોંધાઇ હતી.