રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું છે અને તેમાં પણ ચોમાસાની વિદાય વખતે ભાદરવાએ ભરપૂર હેત વરસાવ્યું છે. જેના કારણે નદી નાળાં જનહીં પરંતુ જે રાજ્યની જીવાદોરી કહેવાય છે તેવા મહાબંધો પણ છલકાઈને વહી રહ્યા છે. આ બંધોમાં હાલ નર્મદા પરનો સરદાર સરોવર બંધ અને મહિસાગર જિલ્લાનો કડાણાબંધ પર ઐતિહાસિક નજારો જોવા મળી રહ્યો છે. જોઈએ આ અહેવાલ.
ભાદરવાએ ભરપૂર હેત વરસાવતા મહાબંધ છલકાયા
બંધમાંથી પાણી છોડવામાં આવતા સર્જાયા રોમાંચિત દ્રશ્યો
આ વર્ષે રાજ્ય પર બારેય મેઘાએ અતિ મહેર કરી દીધી છે. પરિણામે રાજ્યના તમામ જળાશયો ફાટફાટ છલકાઈ રહ્યા છે. ઉપરથી પાણીની આવક અવિરત હોવાના કારણે આ બંધોનું પાણી છોડવું જ પડે તેવી સ્થિતિ ઉદભવી છે. જ્યારે બંધમાંથી પાણી છોડવામાં આવે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે તે અનુભવવા માટે આ દ્રશ્યો પૂરતા છે.
બંધમાંથી પોતાની પૂરી તાકાતથી નદી તરફ ધસી રહેવા આ પાણીના દ્રશ્યો મહિસાગર જિલ્લાની મહી નદી પર આવેલા કડાણા ડેમના છે. ડેમના દરવાજામાંથી ઊંચાઈ પરથી આવતો જળધોધ જ્યારે નદીના પટમાં ખેલવા લાગે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે. અહીં પાણીમાં તાકાત કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય છે.
આ જળશક્તિ જીવદાયિની તો છે જે સાથે જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો વિનાશ પણ સર્જતા તેને કોઈ રોકી શકતું નથી. બંધના દરવાજા ખૂલતાં જ પોતાના પૂરા બળ, જોમ અને તાકાતથી પડી રહેલા અને ધુમ્મસ સર્જી રહેલા આ પાણી જે રીતે ઊછળી રહ્યા છે તેને જોઈને કહેવાનું મન થાય કે આ પાણી સિવાય સૃષ્ટીમાં બીજું કોઈ પાણીદાર નથી. ડેમમાંથી છોડાયેલા આ પાણીના દ્રશ્યો આપણને રોમાંચિત તો કરે જ છે સાથે એ કલ્પના કરી ડરાવી પણ રહ્યા છે કે કદાચ ન કરે નારાયણ ને આવા જ ઘુમ્મરજળ વચ્ચે આપણે ફસાઈ ગયા હોય તો ?
આપણે આજ સુધી `ધસમસતું' એવો શબ્દ સાંભળ્યો હશે. પરંતુ જો આ શબ્દ આકાર સ્વરૂપ ધારણ કરે તો તેનો કેવો નજારો હોય તે તમને સમજાઈ જશે. કડાણા ડેમમાથી પાણી છોડાયા બાદ સાગરને મળવા નદી કેટલી ગાંડીતૂર બની ધસમતી જાય છે.
ધસમસતા વહેણના આ દ્રશ્યો `પૂરપાટ' શબ્દનો અર્થ આપણને શીખવી રહ્યા છે. પૂરપાટ વહેતા આ પાણી જોઈને કોઈ મહાસાગરની યાદ આવી જાય છે. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ, સોમકમલા અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે જેના કારણે ડેમનું જળ સ્તર વધી ગયું છે. પરિણામે રુલ લેવલ જાળવવા કડાણા ડેમ ના 21 ગેટ 24 ફૂટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવતા આ દ્રશ્યો સર્જાયા છે.
ઉપરવાસમાંથી આવતા પાણીના લેવલને મેન્ટેન કરવા કડાણા ડેમમાંથી પાણી છોડવું જરૂરી છે. પરંતુ તેના કારણે મહીસાગર નદીના નીચાણવાળા વિસ્તારમાં આવતા પંચમહાલ જિલ્લાના અનેક ગામમાં પાણી ઘુસી ગયા છે. .જુનિધરી અને કબારીયા ગામ વચ્ચેનો સંપર્ક તુટી ગયો છે અને સ્થાનિક લોકો મદદ માગી રહ્યા છે. તો બીજી તરફ મહીસાગર નદીનું પાણી આણંદના ઉમેટા ગામમાં ઘુસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉમેટાની આસપાસ આવેલા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છ. હાલમાં લોકો અવર-જવર કરવા માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે.
જળ એ જીવન છે, પરંતુ જ્યારે કુદરત હજાર હાથે આપે છે ત્યારે તેને ઝાલવા માટે મનુષ્યનું પાત્ર હમેશા નાનું જ પડવાનું એ આ વર્ષના વરસાદે સાબિત કરી બતાવ્યું છે. આશા રાખીએ કે હવે ઉપરવાસમાં કે હેઠવાસમાં મેઘરાજા ખમૈયા કરે. તો લોકો જીવન મેન્ટેન કરી શકે.