ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવાર સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપીમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જ્યારે વાપી, વલસાડ, કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ ગુજરાતમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ બીજી ઇનિંગ યથાવત રાખી શકે છે અને વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ આવી શકે છે અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. 2 જુલાઈ સુધી મધ્ય અને ઉત્તરગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 4થી 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા સહિત ઉત્તરગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં પણ 4થી 7 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી છે.
મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વાપીમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં 6.8 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં પારડીમાં 5.8 ઈંચ, વલસાડમાં 8.8 ઈંચ, ઉમરગામમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદના પગલે છીપવાડ વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. છીપવાડમાં આવેલા ધુલિયા હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી જતા બંધ કરી દેવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે વલસાડ જિલ્લાનો ધડોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માંડવીનો ગોડધા ડેમ પણ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઓરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. માંગરોળનો સિયાલજ ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી સિયાલજ અને કોસંબા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.