હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. જ્યારે આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે
રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની સંભાવના
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો
આજે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. 4 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે.
આજે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી#Gujarat#Rain
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 27, 2022
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ બેટની સ્થિતિમાં જ છે. વાવ તાલુકાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયાને એક સપ્તાહ થયો પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં પાણી નથી ઓસર્યા.
વાવ તાલુકાના ડેડાવા ગામે શાળામાં પણ હાલ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરેલા હોવાના કારણે છેલ્લા 10 દિવસથી બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં જોવા મળી રહ્યું છે.
મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો
બીજી બાજુ મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં 43 હજાર 617 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની જળ સપાટી 416.11 ફૂટ પર પહોંચી છે.
ડેમનું રૂલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાવર હાઉસ મારફતે 15 હજાર 900 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે. કેનાલ મારફતે પણ 1 હજાર 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ધરોઈ ડેમ રુલ લેવલ કરતા વધુ ભરવાનો તંત્રનો નિર્ણય
તદુપરાંત ધરોઈ ડેમ રુલ લેવલ કરતા વધુ ભરવાનો નિર્ણય કરાયો છે. ધરોઈ ડેમ 621 ફૂટ સુધી ભરાશે. ધરોઈ ડેમનું રુલ લેવલ 619 ફૂટ થયું છે. ખેડૂતોના હિતમાં રુલ લેવલથી વધુ ડેમ ભરાશે.
ધરોઈ ડેમમાં હાલ 91.10 ટકા પાણીનો જથ્થો છે. ઉપરવાસનો વરસાદ ઓછો થતા વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
નર્મદા ડેમની જળ સપાટી 136.03 મીટરે પહોંચી
નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 136.03 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 4 લાખ 83 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ. પાણીની આવક સામે 4 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું. રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક પણ ચાલુ.