હવામાન વિભાગે આગામી બે દિવસની રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહી વચ્ચે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને સાવરકુંડલામાં ભારે વરસાદ પડ્યો છે. તો ઉત્તરગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. તો શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા અને ખેડૂતો ચિંતામાં...
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ
અંકલેશ્વર અને ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ
વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો
આજે અંકલેશ્વરમાં 5 ઇંચ, ભરૂચમાં 2.5 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ, વાલિયામાં 1 ઇંચ અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઇને અંકલેશ્વર સહિતના આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઘરો, દુકાનો અને મંદિરોમાં પાણી ઘુસ્યા છે. તો રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર અટવાયો છે. લોકો અને દુકાનોમાં પાણી ઘુસી જતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
અચાનક જ અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ
અંકલેશ્વરમાં વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં દોઢ કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી ચારેતરફ વરસાદી પાણી ભરાયા છે. અચાનક જ ભારે વરસાદ વરસતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. તો ઘર, દુકાનો અને મંદિરોમાં પાણી ઘુસી ગયા છે. ભાંગવાડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે.જ્યારે રોડ રસ્તા પર નદીની જેમ પાણી ફરી વળ્યા છે. શહેરના GIDC સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. શહેરની બજારોમાં અને દુકાનોમાં પાણી ફરી વળતા દુકાનોના માલ સામાન પલળી જતા દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર શહેર ઠપ થઇ ગયું છે.
તો ભરૂચમાં સવારથી 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને લઇને શહેરની બજારોમાં નદી વહેતી થઇ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વર-ભરૂચી નાકા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો રતનેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘુસ્યા હતા. હાલ ભરૂચમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.
સુરત જિલ્લામાં વરસાદ
સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં ઓલપાડ, માંગરોળ, માંડવી અને કામરેજ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. કામરેજ નજીક હાઈવે પર પાણી ભરાયા છે. સવારથી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદથી ખેડૂતના ઉભા પાકને નુકસાન થયાની શક્યતાઓ દર્શાવવાઇ રહી છે. વડોદરામાં હરણી, એરપોર્ટ, VIP રોડ, સયાજીગંજ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
ભાવનગર પંથકમાં વરસાદ
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જેસર, ઘોઘા, મહુવા, તળાજા અને સિહોર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. ભાવનગરથી ઘોઘા જતા પર પુલ પર પાણી ભરાયા હતા. તો રોડ પર આપેલા ડાયવર્જનમાં પણ પાણી ભરાયા હતા. કોઝવે પર મોટા મોટા ખાડાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
હેરણ નદીમાં પૂર, કરજણ નદીમાં પાણી છોડાયું
તો છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. હેરણ નદીમાં પૂર આવતા નદી બે કાંઠે થઇ છે. નસવાડી તાલુકાની મેણ નદી પણ બે કાંઠે થઇ છે. જ્યારે નર્મદાના ડેડિયાપાડા, સાગબારામાં વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમના ઉપરવાસમાંથી 6 હજાર 992 કયુસેક પાણીની આવક થતા ડેમના 4 ગેટ ખોલી કરજણ નદીમાં પાણી છોડાયું છે. હાલ હાઈડ્રો પાવરના 2 યુનિટ કાર્યરત છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ચિંતામાં
વેરાવળ, ઉના, કોડિનાર, સુત્રાપાડા, ગીર ગઢડામાં વરસાદ પડ્યો હતો. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સાવરકુંડલા બાદ જાફરાબાદ પંથકમાં વરસાદ પડ્યો હતો. લોર, ફાચરિયા, એભલવડ, જીકાદરી અને લાઠી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેતરોમાં મગફળી-કપાસના પાકને નુકસાન થવા પામ્યું છે. અમરેલીમાં ધારી ખોડિયાર ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે.
સાતલડી નદીમાં ટ્રક ખાબક્યો
અમરેલીના બગસરાની સાતલડી નદી બે કાંઠે થઇ હતી. સાતલડી નદીમાં ટ્રક ખાબક્યો હતો. ટ્રકચાલકે કાબૂ ગુમાવતા સાતલડી નદીમાં ખાબક્યો હતો. જોકે ટ્રકચાલકનો બચાવ થયો છે.
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 132% વરસાદ નોંધાયો છે.