વાયુ વાવાઝોડુ મુંબઇ કોસ્ટની પાસેથી પસાર થઇ રહ્યું છે. જો કે તેની કોઇ મોટી અસર મુંબઇના તટીય વિસ્તારમાં જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાને લઇને ભારે વરસાદની શક્યતા છે. મુંબઇ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વાયુ વાવાઝોડુ મુંબઇના કોસ્ટથી 300 કીમી દૂર છે.
પરંતુ જ્યારે તે નજીકથી પસાર થશે ત્યારે મુંબઇ, કોંકણ, ઠાણે અને પાલઘર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. હાલમાં આ વાવાઝોડાની ગતિ 135 કીમી છે, જો કે જલ્દી જ તે 150ની ઉપર પણ થઇ શકે છે. જો કે વાવાઝોડાને લઇને મુંબઇ સહિતના વિસ્તારમાં તંત્રને અલર્ટ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતના દરિયાકિનારે જોવા મળશે. જો કે દરિયામાં વાવાઝોડાની ગતિમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વાવાઝોડુ વધુ રોદ્ર બને તેવી પણ શક્યતા છે. વાવાઝોડુ 13 જૂન એટલે કે આવતી કાલે સવારે 140થી 150 કિલોમીટરની ગતિએ ગુજરાત પર ત્રાટકી શકે છે.
એટલે કે રાજ્યના 60 લાખ નાગરિકોને વાયુ વાવાઝોડાની અસર થશે. ત્યારે 400 જેટલા ગામડાઓ પર વાવાઝોડાની વ્યાપક અસર થવાની શક્યતા છે. જેની અસર સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકાઓને થાય તેવી શક્યતા છે. જેને લઇને વ્યવસ્થા તંત્ર પણ સજ્જ બન્યું છે.