હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસુ સમસયસર જ બેસશે. હવામાન વિભાગના મતે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ માહોલ સતત 5 દિવસ રહી શકે છે. જેને લઇને 5 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ
ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. જેમાં ક્યાંક છૂટોછવાયો વસાદ તો ક્યાંક હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ વરસી શકે છે.
આ તરફ પંચમહાલ અને અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના બોટાદ, ગીર-સોમનાથ, રાજકોટ અને કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
જો કે આ અગાઉ ગુજરાતમાં ચોમાસાંને લઇને મહત્વના સમાચાર આવ્યાં હતા. રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જણાવામાં આવી છે. નિસર્ગ વાવાઝોડાંની ચોમાસા પર કોઇ અસર નહીં જોવા મળે તેવું જણાવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ
ગુજરાતમાં નિસર્વ વાવાઝોડાંના પગલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટના જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. આજે ગામના ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે. ખેડૂતો કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું વાવેતર કરશે. વહેલી વાવણી થતાં ખેડૂતોને ફાયદો થશે. જોકે શ્રમિકોની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
બોટાદના ગઢડામાં ખેડુતોએ વાવણીના કર્યાં શ્રીગણેશ
નિસર્ગ વાવાઝડો બાદ રાજ્યમાં અનેક જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લામાં ગતરોજ જ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલો જોવા મળ્યો. જેને લઇને ગઢડાના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે. બોટાદ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂત કપાસનું વાવેતર થાય છે. હાલ સમયસર વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.