દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનને અત્યાર સુધીમાં સાત અકસ્માત નડ્યા બાદ હવે રેલવે તંત્રનો મોટો નિર્ણય
ઝડપી વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઈને રેલવે તંત્રનો મોટો નિર્ણય
અકસ્માત રોકવા અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્રેશ બેરિયર લગાવવાનું શરૂ
વંદે ભારત ટ્રેનને અત્યાર સુધીમાં સાત અકસ્માત થયા
અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરને લઇને ટ્રેન અકસ્માતની સંખ્યા વધી રહી છે. આ તરફ દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઈને રેલવે તંત્રએ અમદાવાદ-મુંબઇ વચ્ચે મેટલ ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય કર્યો છે. 200 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. જેમાં અમદાવાદથી રેલિંગ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 30 સપ્ટેમ્બર-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી સૌથી સ્પીડમાં ચાલતી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન શરૂ થયાના બીજા જ દિવસે અમદાવાદના વટવા નજીક આ ટ્રેન ભેંસ સાથે અથડાઇ હતી. જેમાં એન્જીનના આગળના ભાગે નુકસાન થયું હતું.
દેશના તમામ રેલવે ટ્રેક અત્યારે જમીન પર છે. તેવામાં ઢોરની સમસ્યા પણ રહેતી જોવા મળે છે. જોકે આવા પ્રશ્નોને દૂર કરવા માટે ટ્રેનને ડિઝાઇન કરવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનની ઘટના બાદ ટ્રેનને વધુ નુક્સાન પહોંચ્યું નથી. ટ્રેનનાં આગળના ભાગના સમારકામ બાદ ટ્રેન ફરી કાર્યરત છે.
વંદે ભારત ટ્રેનને નડી રહ્યા છે અકસ્માત
આ ટ્રેનને અલગ અલગ 7 જગ્યા ઉપર અકસ્માત થયો હતો. વારંવાર થતા અકસ્માત બાદ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ બેરિયર લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં હાલમાં અમદાવાદથી ક્રેશ બેરિયર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન 2026થી અમદાવાદથી કાર્યરત થશે. જેના પર હાલમાં કામ પૂરઝડપે ચાલુ છે. જે અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.